“ગૌ જ્ઞાન – વિજ્ઞાનથી ગ્લોબલ બિઝનેસ સુધી” : પુનામાં “ગૌ ટેક 2026” દ્વારા આત્મનિર્ભર ભારતને નવી દિશા
ગૌ આધારિત “બ્રાઉન રિવોલ્યુશન”નો વૈશ્વિક શંખનાદ 20 થી 23 માર્ચ 2026 પુના ખાતે “ગૌ ટેક 2026”
5 લાખથી વધુ મુલાકાતીઓ, 300થી વધુ સ્ટોલ અને વિદેશી રોકાણ સંવાદ “ગૌ ટેક 2026”થી ગૌ ઉદ્યોગના ભવિષ્યમાં પરિવર્તન
કામધેનુ ચેર, મહિલા,સંત સંમેલન અને લાઇવ દેશી ગૌવંશ પ્રદર્શન “ગૌ ટેક 2026” એક સર્વાંગી રાષ્ટ્રનિર્માણ અભિયાન
ગૌ આધારિત ઉદ્યોગો, વિજ્ઞાન, ટેક્નોલોજી, સંશોધન, નવીનતા અને ઉદ્યમિતાને વૈશ્વિક મંચ પૂરો પાડવાના હેતુથી ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ” GCCI દ્વારા મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગ અને આર.આર.કેબલના સહયોગ થી આયોજિત “ગૌ ટેક 2026” નામનું આંતરરાષ્ટ્રીય શિખર સંમેલન અને પ્રદર્શની તા. 20 થી 23 માર્ચ 2026દરમિયાનએગ્રીકલ્ચર કોલેજ ગ્રાઉન્ડ, પુના (મહારાષ્ટ્ર) ખાતે આયોજન કરવામાં આવી રહ્યું છે. “ગૌ ટેક 2026”માં દેશ વિદેશથી નીતિનિર્માતાઓ, સમાજસેવકો, વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ, સ્ટાર્ટ-અપ્સ, રોકાણકારો, ખેડૂતો, ગૌશાળાઓ, યુનિવર્સિટીઓ, સંતસમાજ, મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં ભાગ લેશે. આ આયોજનમાં 300થી વધુ સ્ટોલ, 12થી વધુ ગૌ વિષય આધારિત સેમિનાર, વિશેષ સંમેલનો, B2B બેઠકો તથા વિદેશી પ્રતિનિધિઓની ભાગીદારી સાથે પાંચ લાખથી વધુ મુલાકાતીઓની હાજરીની સંભાવના છે.
GCCIના સ્થાપક, પૂર્વ મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું કે ગૌમાતાનું દૂધ, ગૌમૂત્ર, ગોબર અને પંચગવ્યમાં આરોગ્ય, કૃષિ, ઊર્જા, પર્યાવરણ સંરક્ષણ અને ગ્રામિણ અર્થવ્યવસ્થાને સશક્ત બનાવવાની અદ્ભુત વૈજ્ઞાનિક તથા આર્થિક ક્ષમતા રહેલી છે.
ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ ના માનદ સલાહકાર અને GCCI ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલ ખેતાણીએ જણાવ્યુ કે “ગૌ ટેક 2026” માં જૈવિક ખાતર અને બાયો-ફર્ટિલાઇઝર, દૂધ તથા દૂધમાંથી બનેલા મૂલ્યવર્ધિત ઉત્પાદનો, ગૌમૂત્ર અને ગોબર આધારિત ઉત્પાદનો, પ્રાકૃતિક ખેતી, પશુચિકિત્સા કોલેજો અને યુનિવર્સિટીઓ, સીમેન લેબોરેટરી, સેક્સ-સોર્ટેડ સીમેન તથા એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી, સોલાર અને બાયો-એનર્જી, ચારો અને બીજ ઉદ્યોગ, ચારાગાહ વિકાસ મશીનરી, સરકારી અને ખાનગી બેંકો, સહકારી સંસ્થાઓ, દુગ્ધ સંઘો અને ફેડરેશનો, વિવિધ રાજ્યોના ગૌ સેવા આયોગો, એનિમલ ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ, ઇનોવેટિવ સ્ટાર્ટ-અપ્સ, સંશોધન અને વિકાસ આધારિત ગૌ ઉત્પાદનો, ભારતીય દેશી ગૌ જાતિઓનું લાઇવ પ્રદર્શન તેમજ નેચરોપેથી, આયુર્વેદ અને પંચગવ્ય આધારિત સારવાર પદ્ધતિઓ સાથે જોડાયેલા બધી શ્રેણીઓના સ્ટોલ બુક થઈ ચૂક્યા છે, જે આ આયોજન પ્રત્યે દેશ-વિદેશથી મળી રહેલા વ્યાપક ઉત્સાહ અને વિશ્વાસને સ્પષ્ટ રીતે દર્શાવે છે.
GCCI ના જનરલ સેક્રેટરી શ્રી રમેશભાઈ ઘેટીયા એ જણાવ્યુ કે ગૌ ટેક 2026 આયોજન અંતર્ગત કુલપતિ સંમેલનનું આયોજન કરવામાં આવશે, જેનો હેતુ દેશની યુનિવર્સિટીઓમાં “કામધેનુ ચેર”ની સ્થાપના કરવાનો છે, જેથી ગૌ આધારિત શિક્ષણ, સંશોધન અને નવીનતાને શૈક્ષણિક સ્તરે સંસ્થાગત સ્વરૂપ મળી શકે. આ ઉપરાંત મહિલા સંમેલન દ્વારા ગૌ આધારિત મહિલા ઉદ્યમિતા, સ્વરોજગાર અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન મળશે, જ્યારે સંત સંમેલન દ્વારા ગૌ મહાત્મ્ય, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક મૂલ્યો પર વ્યાપક ચર્ચા થશે. પંચગવ્ય ચિકિત્સા સંમેલન પણ યોજાશે, જેમાં દેશભરના પંચગવ્ય ચિકિત્સકો, આયુર્વેદાચાર્યો, નેચરોપેથી નિષ્ણાતો અને સંશોધકો ભાગ લેશે. સાથે ગૌશાળા સંમેલન પણ યોજાશે, જેમાં દેશભરની ગૌશાળાઓના પ્રતિનિધિઓ, સંચાલકો અને ગૌસેવકો ગૌશાળા વ્યવસ્થાપન, આર્થિક આત્મનિર્ભરતા, ટેક્નોલોજીકલ ઉન્નતિ અને સરકારી યોજનાઓ અંગે વિચારવિમર્શ કરશે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ સંમેલનનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં ગૌ આધારિત નવીન સ્ટાર્ટઅપ્સ, યુવા ઉદ્યોગસાહસિકો, ટેક્નોલોજી ઇનોવેટર્સ અને રોકાણકારો ભાગ લેશે.
ગૌ ટેક 2026 પ્રદર્શન દરમિયાન વિવિધ રાજ્યના ગૌ સેવા આયોગની ટીમો વિશેષ રીતે મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ પોતાના રાજ્યમાં ગૌસેવા, ગૌશાળા વિકાસ, ગૌચર સંરક્ષણ, દેશી ગૌવંશ સંવર્ધન, ગૌ આધારિત ઉદ્યોગો તથા ગ્રામિણ રોજગાર માટે અમલમાં રહેલી યોજનાઓ, નીતિઓ અને સફળ મોડેલ્સની માહિતી રજૂ કરશે. ગૌ સેવા આયોગની ટીમો પ્રદર્શનના માધ્યમથી રાજ્ય સરકારની સહાય યોજનાઓ, આર્થિક અનુદાન, તાલીમ કાર્યક્રમો, ટેકનોલોજીકલ સહાય, સંશોધન પહેલો અને નવી યોજનાઓ અંગે માર્ગદર્શન આપશે, જેથી ગૌશાળાઓ, ગૌસેવકો, ઉદ્યોગસાહસિકો અને સંશોધકોને સીધો લાભ મળી શકે. આ પરસ્પર સંવાદ દ્વારા રાજ્યોથી રાજ્ય વચ્ચે શ્રેષ્ઠ પ્રથાઓનું આદાન-પ્રદાન થશે અને સમગ્ર દેશમાં ગૌસેવા પ્રવૃત્તિઓને સંસ્થાગત, આત્મનિર્ભર અને દીર્ઘકાળીન સ્વરૂપ આપવા માટે મજબૂત પાયો રચાશે.
ગૌ ટેક 2026નું ભવ્ય ઉદ્ઘાટન સમારંભ 20 માર્ચ 2026ના રોજ યોજાશે, જેમાં દેશ-વિદેશના ગણમાન્ય મહેમાનો હાજર રહેશે. આ સમારંભ દ્વારા ચાર દિવસીય આંતરરાષ્ટ્રીય પ્રદર્શની અને સંમેલનનો ઔપચારિક આરંભ થશે. જ્યારે 23 માર્ચ 2026ના રોજ સમાપન સમારંભ યોજાશે, જેમાં ગૌ ટેક 2026ની સિદ્ધિઓ, કરાર, રોકાણ પ્રસ્તાવો અને ભવિષ્યની કાર્યયોજનાની જાહેરાત કરવામાં આવશે. આ સમાપન સમારંભ ગૌ આધારિત આંદોલનને આગળ વધારવાની નવી પ્રતિબદ્ધતાનું પ્રતિક બનશે.
“ગૌ ટેક 2026”ના પરિસરમાં ગૌ પરિક્રમા માર્ગ અને મોડલ ગૌશાળા યુનિટની સ્થાપના કરવામાં આવશે, જ્યાં ભારતીય દેશી ગાયોના જીવંત દર્શન કરાવવામાં આવશે. આ જ પરિસરમાં વૈદિક પરંપરા અનુસાર અગ્નિહોત્ર ગૌ યજ્ઞનું આયોજન પણ પ્રસ્તાવિત છે. આયોજનની પૂર્વ તૈયારી અંતર્ગત 15 માર્ચ 2026, રવિવારના રોજ ભવ્ય ભૂમિ પૂજન સમારંભ યોજાશે, જે આ ઐતિહાસિક આયોજનનો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક આરંભ ગણાશે.
ગૌ ટેક 2026 અંતર્ગત યોજાનારા સેમિનારોમાં ગૌ પર્યટન, ગૌ આરોગ્ય, ગૌ આયુર્વેદ, ગૌ પ્રોડક્ટ પ્રોસેસિંગ, પંચગવ્ય ઉત્પાદનો, ગૌ ઊર્જા અને બાયો-ફ્યુઅલ, ગૌ ગ્રામ મોડલ, કામધેનુ નગર, ગૌ છાત્રાલય અને ગૌ ઉદ્યમિતા તાલીમ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ સેમિનારો દ્વારા નીતિ, રોકાણ, નવીનતા અને જમીનસ્તરની અમલવારીને જોડીને ગૌ આધારિત અર્થવ્યવસ્થાને એક મજબૂત અને વ્યવહારુ સ્વરૂપ આપવામાં આવશે.
“ગૌ ટેક 2026”ને મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગનું વિશેષ સમર્થન પ્રાપ્ત છે તેમજ ભારત સરકારના MSME મંત્રાલય દ્વારા આ પ્રદર્શનીને ભાગીદારી માટે મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે MSME અંતર્ગત ભાગ લેનારા ઉદ્યોગકારોને અનુદાનનો લાભ મળી શકશે.
આ કાર્યક્રમ દરમિયાન ગૌ ઉદ્યોગસાહસિકતા તથા ગૌસેવા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ૨૦થી વધુ વિવિધ શ્રેણીઓમાં “ગૌ ટેક એવોર્ડ્સ” આપવામાં આવશે. ઉપરાંત, ગોબર અને ગોમૂત્ર આધારિત વ્યાવસાયિક તેમજ દૈનિક ઉપયોગી ઉત્પાદનો બનાવવાની લાઈવ તાલીમ પણ આપવામાં આવશે, જેના દ્વારા સ્વયં સહાય સમૂહો, મહિલાઓ, યુવાઓ તથા ગૌશાળા સંચાલકોને આત્મનિર્ભર બનવા માટે સશક્ત બનાવવામાં આવશે.
ગૌ ટેક 2026ને માર્ગદર્શન આપવા તેના ચીફ પેટ્રન તરીકે પદ્મશ્રીથી સન્માનિત વૈજ્ઞાનિક વિજય ભાટકરજી, ભારત સરકારના પૂર્વ મંત્રી પ્રકાશ જાવડેકરજી, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાતથાIFFCOના ચેરમેન દિલીપભાઈ સંઘાણીનું સાન્નિધ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે.
ચાર દિવસીય આયોજન દરમિયાન મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, ભારત સરકાર, મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, વરિષ્ઠ અધિકારીઓ તથા અનેક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળો આયોજન સ્થળની મુલાકાત લેશે.
GCCI તરફથી તમામ ગૌપ્રેમીઓ, ગૌ આધારિત સ્ટાર્ટ-અપ્સ, મહિલા ઉદ્યોગકારો, જૈવિક ખેડૂતો, ગૌશાળાઓ, સંશોધકો અને ટેક્નોલોજીકલ નવીનકારોને “ગૌ ટેક 2026”માં સ્ટોલ બુક કરી તેમના ઉત્પાદનો, સેવાઓ અને વિચારોને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવા આમંત્રિત કરવામાં આવ્યા છે. સ્ટોલ બુકિંગ માટે ઇચ્છુક ભાગ લેનારોએ મો. 93419 28011, 79874 41471, 83201 77647 અથવા Email: info@gautechexpo.in પર સંપર્ક સાધવો.
“ગૌ ટેક 2026”ને ઉચ્ચ સ્તરીય, સુવ્યવસ્થિત અને યાદગાર બનાવવાના હેતુથી ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સી તરીકે Toredo Fairs India Pvt. Ltd. ની પસંદગી કરવામાં આવી છે. આ એજન્સીના શ્રી મનિષ ચતુર્વેદી Gau Techના વિઝન અને ગૌ આધારિત ચળવળ સાથે જોડાયેલા છે. પ્રદર્શન આયોજનથી માંડીને આંતરરાષ્ટ્રીય ધોરણની સ્ટોલ રચના, પ્રતિભાગી સંકલન અને સમગ્ર કાર્યક્રમના સુચારુ સંચાલન સુધી Toredo Fairs India Pvt. Ltd. ની અનુભવી ટીમ “ગૌ ટેક 2026”ને એક પ્રભાવશાળી, વ્યાવસાયિક અને સફળ મહોત્સવ બનાવવા માટે પૂર્ણ નિષ્ઠાથી કાર્ય કરી રહી છે.