આંતરરાષ્ટ્રીય ઝીરો વેસ્ટ દિવસ:ગૌ સેવા દ્વારા ટકાઉ ઉકેલ
30 માર્ચ 2025 ના રોજ આંતરરાષ્ટ્રીય ઝીરો વેસ્ટ દિવસ (International Day of Zero Waste) ના અવસરે ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ-બેસ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI)ના સ્થાપક ડો. કથીરિયા એ સમાજ ને સંદેશ આપતા જણાવ્યુ કે ગૌ સેવા માત્ર પર્યાવરણ સંરક્ષણ માટે જ નહીં, પણ કચરા વ્યવસ્થાપન અને સાતત્યપૂર્ણ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટેનું એક સશક્ત માધ્યમ છે. અંતરરાષ્ટ્રીય ઝીરો વેસ્ટ દિવસ કચરાને ઓછો કરવા અને પરિભ્રમણ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે, જે ગૌ-આધારિત ઉદ્યોગો ના સિદ્ધાંતો સાથે ઊંડે સુધી જોડાયેલ છે. ગાયના દરેક ઉત્પાદનોનો અસરકારક ઉપયોગ કુદરતી અને માનવીય કલ્યાણ માટે કરી શકાય છે. ગૌ સેવા ભારતીય સંસ્કૃતિ અને ટકાઉ જીવનશૈલીનો અભિન્ન ભાગ રહી છે. ગાયમાંથી મળતા પંચગવ્ય -ગાયનું ગોબર, ગૌમૂત્ર, દુધ, દહીં અને ઘી – કૃષિ, આરોગ્ય અને વિવિધ ઉદ્યોગોમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ગાયના ગોબરથી જૈવિક ખાતર, વર્મી કોમ્પોસ્ટ અને પ્રાકૃતિક ખાતર બનાવવામાં આવે છે, જેના કારણે રાસાયણિક ખાતર પર આધાર ઓછો થાય છે અને જમીનની ઉર્વરતા જળવાઈ રહે છે. પંચગવ્ય કૃષિ, જે સંપૂર્ણપણે કુદરતી છે, જમીનને પુનર્જીવિત કરી વધુ ઉપજ પ્રદાન કરવામાં મદદરૂપ થાય છે. ગાયના ગોબરથી બનાવાયેલા દીવા, અગરબત્તી અને જૈવિક ઈંધણના ઉપલા(છાણા) પ્લાસ્ટિક અને હાનિકારક રસાયણોના ઉપયોગને ઓછા કરવામાં સહાય કરે છે. ગાયનું ગૌમૂત્ર એક શક્તિશાળી જૈવિક સંવર્ધક છે, જેનો ઉપયોગ જૈવિક જંતુનાશકોમાં થાય છે, જેના પરિણામે કૃષિ રાસાયણિક મુક્ત બને છે. આયુર્વેદ અને પંચગવ્ય ચિકિત્સા માટે પણ તે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. ગૌ આધારિત ઊર્જાના રૂપે ગોબર ગેસ પ્લાન્ટ મારફતે સ્વચ્છ રસોઈ ગેસ બનાવવામાં આવે છે, જે પરંપરાગત ઈંધણ પરની નિર્ભરતા ઘટાડે છે. જૈવ-ઉર્જા ઉત્પાદન શૂન્ય કચરાને સુનિશ્ચિત કરી નવીનીકરણીય ઊર્જાને પ્રોત્સાહન આપે છે. ગાયના ગોબરથી બનેલી ઈંટો અને પ્રાકૃતિક રંગ ઔદ્યોગિક કચરાને ઓછું કરવામાં મદદ કરે છે. ગાયના ગોબરથી બનેલા કાગળ અને સ્ટેશનરી ઉત્પાદનો પ્લાસ્ટિકની જગ્યાએ ટકાઉ વિકલ્પ પૂરા પાડે છે. ગૌ સેવા અને પર્યાવરણ સંરક્ષણ એકબીજા સાથે ઊંડે જોડાયેલા છે. જ્યારે આપણે ગૌ સેવાને શૂન્ય કચરા અભિયાન સાથે જોડીએ, ત્યારે આત્મનિર્ભર ભારત અને સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યો (SDGs) તરફ મહત્વનો ફાળો આપી શકીએ. ગૌ આધારિત ઉદ્યોગો માત્ર કૃષિ કચરા વ્યવસ્થાપન માં જ નહીં, પણ ગ્રામ્ય રોજગાર, પર્યાવરણમિત્ર જીવનશૈલી અને જૈવ વિવિધતા સંરક્ષણ માં પણ મહત્વનો ફાળો આપે છે. આ અંતરરાષ્ટ્રીય શૂન્ય કચરો દિવસ પર GCCI તરફથી તમામ નાગરિકો, સંસ્થાઓ અને નીતિ નિર્માતાઓને અપીલ કરીએ છીએ કે તેઓ ગૌ આધારિત શૂન્ય કચરો પદ્ધતિઓ ને અપનાવે. પરંપરાગત જ્ઞાનનું પુનરુત્થાન કરીને અને ગૌ આધારિત ઉદ્યોગોને સમર્થન આપી, આપણે બધા માટે સ્વચ્છ, હરિત અને આત્મનિર્ભર ભવિષ્ય નો નિર્માણ કરી શકીએ.























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































