#Blog

કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલ અને જ્ઞાન સૌરભ વિદ્યાલય, રાજકોટ ખાતે ‘સ્વસ્થ જીવન શૈલી’ અને ‘શાકાહાર – શ્રેષ્ઠ આહાર’ વિષય પર સેમિનાર યોજાયો

> સમસ્ત મહાજન અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા નિ:શુલ્ક ‘શાકાહાર જન જાગૃતિ અભિયાન’ શરુ કરવામાં આવ્યો

સમસ્ત મહાજન અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન – રાજકોટ દ્વારા નિ:શુલ્ક ‘શાકાહાર જન જાગૃતિ અભિયાન’ શરુ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત વિવિધ શાળા સંકુલો, સંસ્થાઓમાં કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ જઈને ‘સ્વસ્થ જીવન શૈલી’ વિષે સંવાદનું આયોજન કરે છે. વર્તમાન સમયમાં ચારેબાજુ પ્રદુષિત વાતાવરણને કારણે માણસોને ઘણા રોગો, સ્વાસ્થ્યને લગતી વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા સમયે બાળકોમાં નાનપણથી જ સ્વાસ્થ્ય જાળવવાનાં સંસ્કાર આવે એ હેતુથી આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.   

વેજિટેરિયન ખોરાકમાં રહેલું ફાઇબર પાચનતંત્રને વધુ કાર્યક્ષમ અને બહેતર બનાવવાનું કામ કરે છે. નોન-વેજ ફૂડમાં ફાઇબરનું પ્રમાણ ઓછું હોવાથી તે આરોગનાર વ્યક્તિને પાચન-સંબંધી ઘણી સમસ્યાઓ નડે છે. ફ્રૂટ, શાકભાજી, કઠોળ વગેરેમાં ફાઇબરનું પ્રમાણ ખાસ્સું વધારે હોવાથી હેલ્થ એક્સપર્ટ્સ હંમેશા શાકાહારને વધુ પ્રાધાન્ય આપે છે. ભારતનાં પ્રાચીન ઈતિહાસ પર નજર કરીએ તો ઋષિમુનીઓ પણ શાકાહાર કરવાની તેમજ શરીરને સ્વસ્થ રાખવા માટે આયુર્વેદને અનુસરવા જણાવ્યું છે. શાકાહાર તેમજ સ્વસ્થ જીવન શૈલી વિષે આવી જ રસપ્રદ વાતો, વાર્તાઓ, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તેમજ વિડીયો પ્રેઝન્ટેશન સાથે બાળકો, વિધાર્થીઓ તેમજ જે તે સંસ્થાઓનાં સંભ્યોને સમજાવવામાં આવે છે.

સ્વસ્થ જીવનશૈલી અને શાકાહાર જનજાગૃતિ અભિયાનના વક્તવ્યમાં મોબાઈલનો મર્યાદિત ઉપયોગ કરવો,લીલા શાકભાજી અને ફળો આહારમાં વધુ પ્રમાણમાં લેવા, ઉપવાસ કરવા, પાણી વધારે પીવું, કસરત કરવી, વાંચન વધારવું, બહારના જંક ફૂડ ન આરોગવા, મેંદાયુક્ત પદાર્થો ન આરોગવા તદુપરાંત ખૂબ જ મહત્વની બાબતમાં કેવી રીતે લોકોને માંસાહાર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને માંસાહાર શા માટે ન કરવો જોઈએ માંસાહારથી થતા ગેરફાયદા, અને માંસાહારથી જીવ હત્યા જેવા ખૂબ જ મહત્વના મુદ્દાઓ વક્તવ્યમા સમાવિષ્ટ કરવામાં આવે છે. કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ અને જ્ઞાન સૌરભ વિદ્યાલય, રાજકોટ ખાતે ‘સ્વસ્થ જીવન શૈલી’ અને ‘શાકાહાર – શ્રેષ્ઠ આહાર’ વિષય પર સેમિનાર યોજાયો. 220 જેટલા વિદ્યાર્થીઓએ સેમીનારમાં ભાગ લીધો હતો. સેમિનારમાં વિદ્યાર્થીઓને ગૌ પ્રસાદ તરીકે ગોબરમાંથી નિર્મિત ‘ગૌ દીપક’ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. 

તમારી શાળા/કોલેજ/સંકુલ/સોસાયટી- ટાઉનશીપ, ધંધાકીય – સેવાકીય સંસ્થાઓમાં આ પ્રકારનાં નિ:શુલ્ક કાર્યક્રમનું આયોજન કરવા તેમજ આ અંગે વિશેષ માહિતી માટે મિત્તલ ખેતાણી (મો. 98242 21999) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. આ અભિયાનનું સમગ્ર આયોજન, સંચાલન અને સંકલન ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ અને ભારત સરકારનાં પશુપાલન મંત્રાલયનાં માનદ સલાહકાર તેમજ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈનનાં પ્રમુખ મિત્તલ ખેતાણી દ્વારા કરવામાં આવે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *