શ્રી દ્વારકા ગૌશાળા કમીટી દ્વારા પ્રાકૃતિક ખેતી સંમેલન યોજાયું.

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ માર્ગદર્શન આપ્યું.
દેવભૂમિ દ્વારકાના ભથાણ ચોક ખાતે શ્રી દ્વારકા ગૌશાળા ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો અને ગૌશાળાના સંચાલકોને પ્રાકૃતિક ખેતીના પ્રખર સમર્થક ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ભારતની ભૂમિ ઋષિ અને કૃષિની ભૂમિ રહી છે. વેદો, પુરાણો સહિતના શાસ્ત્રોમાં સૌ પશુ પક્ષીઓમાં ગૌમાતાને સૌથી વધારે સન્માન આપવામાં આવ્યું છે. ગૌમાતા પોતાના સમગ્ર જીવનકાલ સુધી પોતાનું દૂધ આપી સેવા કરે છે. ગૌમાતાનું દૂધ સર્વોત્તમ છે એનું મુખ્ય કારણ એના દૂધમાં પોતાના બાળકો માટે જે આપણાપણું હોય છે તે જોવા મળે છે. આજના આધુનિક યુગમાં ટેક્નોલોજીના વિકાસ થકી દરેક ક્ષેત્રે ક્રાંતિ આવી છે. જેના પરિણામે આપણે ગૌમાતાની ઉપયોગિતા અને તેના સર્વોત્તમ ગુણોથી અપરિચિત થયા છીએ. વેદોમાં કહેવાયું છે કે, હે માનવ જો તારે તારા ઘર, સમાજ અને રાષ્ટ્રને ઉન્નત અને સર્વોત્તમ બનાવવું હોય તો તેનો માત્ર એક જ ઉપાય છે ગૌ માતાનું સંરક્ષણ. આજના ઝડપી સમયમાં જ્યારે રોગો તથા બીમારીઓનું પ્રમાણ વધ્યું છે ત્યારે ગૌ માતાનું દૂધ એ તમામ રોગોથી બચવા માટે શ્રેષ્ઠ છે તેમ વૈજ્ઞાનિકોએ પણ સ્વીકૃત કર્યું છે.
ધરતીને આપણે આપણી માતા માનીએ છીએ તેવું કહી રાજ્યપાલે જણાવ્યું હતું કે, આપણે જ તેનો વિનાશ કરી રહ્યા છીએ. ડીએપી, યુરિયા જેવા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અંધાધુંધ વપરાશથી રાસાયણિક ખેતી કરીને આપણે આપણી પ્રકૃતિની સમતુલા ખોરવી નાખી છે. રાસાયણિક કૃષિ ધીમું ઝેર છે. જેના પરિણામે આબોહવામાં પરિવર્તન થઈ રહ્યું છે. જળવાયુ ખરાબ કરવાનું કાર્ય રાસાયણિક કૃષિ કરી રહી છે. આ વિષચક્રમાંથી મુક્ત થવું હશે તો પ્રાકૃતિક કૃષિ અપનાવવાનું પુણ્ય કાર્ય કરવું પડશે. પ્રાકૃતિક કૃષિમાં ઉપયોગમાં લેવાતા ગૌમૂત્ર અને ગોબર પણ ગૌમાતા જ આપે છે જે ગૌમાતાના દૂધ કરતા પણ વધારે મૂલ્યવાન છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ધરતીપુત્રો રાસાયણિક કૃષિ ત્યજી પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે “રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન” બનાવી પ્રાકૃતિક કૃષિ અભિયાનને નવી દિશા આપી છે, જેના માટે રાજ્યપાલે વડાપ્રધાનનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. ધરતીપુત્રો જો ગૌમાતાનું સંરક્ષણ અને સંવર્ધન કરે તેનું પાલન પોષણ કરે તો ગૌમાતા તેમની આર્થિક ઉન્નતિમાં યોગદાન આપી ધરતીપુત્રોને આત્મનિર્ભર બનાવી શકે છે.
આ પ્રસંગે વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહે સંસ્થા પરિચય આપીને ગુજરાતમાં ચાલી રહેલા વિવિધ ગૌસેવાને લગતા કાર્યોની અને ભવિષ્યના આયોજનની રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે મોમેન્ટો અર્પણ કરીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલે દાતા તેમજ ગૌસેવકોનું સન્માન કર્યું હતું. શ્રી દ્વારકા ગૌશાળા કમીટીના અગ્રણી રામજીભાઈ મજીઠીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગૌશાળાની મુલાકાત લઈ રાજ્યપાલે ગૌશાળાના ટ્રસ્ટીઓ અને ગૌસેવકો સાથે બેઠક કરીને ગૌ સંવર્ધન અને ગૌશાળા સંચાલન માટે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે જિલ્લા કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી
એ.બી.પાંડોર, એસ.ડી.એમ. અમોલ આવતે, સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહ, ભારત સરકારની પશુપાલન અને ડેરી મંત્રાલય કમિટી, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની એવોર્ડ એન્ડ ઇવેન્ટ કમીટી તેમજ ગુજરાત સરકારનાં સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડનાં મેમ્બર મિતલ ખેતાણી, અધિકારીઓ, ગૌશાળાના ટ્રસ્ટ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો તથા શ્રી દ્વારકા ગૌશાળા કમીટીના સ્વામી નિલેશાનંદજી, રામજીભાઇ મજીઠિયા, મહેશભાઇ ગોકાણી, વિજયભાઇ ભાયાણી, શૈલેષભાઇ ઘઘડા, ડૉ રવિભાઈ વરોતરિયા, નરેન્દ્રભાઈ કક્કડ, વિજયભાઈ ગોકાણી, સંજયભાઈ નકુમ, અમીતભાઈ રામાનુજ, અશોકભાઈ રાજાણી, ભરતભાઈ વિઠ્ઠલાણી, કનૈયાલાલ હરીદાસ વિઠ્ઠલાણી, ધવલ રમેશભાઈ વિઠ્ઠલાણી, ભદ્રેશભાઈ ધોકાઈ, તથા મહિલા મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી દ્વારકા ગૌશાળા કમીટીઅંગેની વિશેષ માહિતી માટે રામજીભાઈ મજીઠિયા (મો.93775 88011) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.