#Blog

11 માર્ચ, ‘નો સ્મોકિંગ ડે’ – ધુમ્રપાન નિષેધ દિવસ જીવન સુંદર છે તેને ધુમાડામાં જવા ન દો, જિંદગી પસંદ કરો, તમાકું નહીં સિગારેટનાં એક છેડે ધુમાડો હોય છે અને બીજે છેડે મુર્ખ

“ધુમ્રપાન નિષેધ દિવસ” દર વર્ષે માર્ચ મહીનાનાં બીજા બુધવાર પર મનાવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ ધુમ્રપાન નિષેધ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. આ દિવસ ઉજવવાની શરૂઆત સન 1984થી થઇ હતી. ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એક અંદાજ મુજબ સામાન્ય રીતે ધુમ્રપાનનો શિકાર દરેક 12 થી 17 વર્ષની વયના યુવા થાય છે. આ પાછળનું કારણ ક્યારેક કંઈક નવું કરવાની જિજ્ઞાસા હોય છે તો ક્યારેક અન્ય કરતાં પોતે મોટા છે એવું સાબિત કરવાની લાલસા પાછળ સગીર વયે વ્યક્તિ ધુમ્રપાનનો શિકાર થાય છે. ધુમ્રપાન નિષેધ માટે જનજાગૃતિ હેતુ આ દિવસ પસંદ કરવામાં આવ્યો છે, પરતું ખરેખર તો આવા માદક પદાર્થોનાં નિષેધ માટે કોઈ પણ નિશ્ચિત્ત દિવસ હોતો નથી. ‘જાગ્યા ત્યારથી સવાર’ એ સૂત્ર મુજબ કોઈ પણ વ્યક્તિ ઈચ્છે ત્યારે તેને બંધ કરી શકે છે બસ આ માટે જે તે વ્યક્તિએ પોતાનું મન મક્કમ કરવાની આવશ્યક્તા છે. ધુમ્રપાનની ખરાબ અસર મુખ્યત્વે ઉધરસ અને ગાળામાં બળતરાની સાથે શરૂ થાય છે અને સમય જતાં તે હદય રોગ, શ્વાસનળીનો સોજો, ન્યુમોનિયા સ્ટ્રોક અને ઘણા પ્રકારનાં કેન્સર જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ સહિત વધુ ગંભીર પરિસ્થિતી પણ સર્જી શકે છે, જેમાં સૌથી ગંભીર અને વધુમાં વધુ જોવા મળતી સમસ્યા ઓરલ કેન્સર (માઉથ કેન્સર) છે. જો ધુમ્રપાન જેવી આદતો હશે તો તે ફેફસા માટે હાનિકારક બનશે અને તેનાથી મૃત્યુ પણ નીપજી શકે છે. આ ઉપરાંત ધુમ્રપાન એ સિગારેટ પીનાર વ્યક્તિ માટે તો જોખમી થઈ જ જાય છે, પરંતુ તેનાં ધુમાડાનાં કારણે ધુમ્રપાન કરતી વ્યક્તિનાં આસપાસનાં લોકોને પણ શ્વાસનાં રોગ થઈ શકે છે અને વળી સિગારેટનો ધુમાડો પર્યાવરણને પણ અતિશય નુકસાન પહોંચાડે છે.
અહીં ક્યારેક એ સવાલ પણ પેદા થાય છે કે ભારત જેવા દેશમાં જ્યાં તમાકુ,સીગારેટનાં પેકિંગ પર જ તેના ઉપભોગ કર્યા પછીના પરિણામો દર્શાવેલ હોય છે અને કોઈ ફિલ્મ બતાવતા પહેલા પણ વ્યસન નિષેધ જાગૃતિનાં વિજ્ઞાપનો દર્શાવાય છે છતાં પણ દેશમાં મોટા ભાગે લોકો કોઈ ને કોઈ વ્યસનનો શિકાર થતા જ હોય છે. ધુમ્રપાનની સમસ્યા મુખ્યત્વે મેટ્રો સિટીમાં વધારે જોવા મળે છે તેની પાછળ મેટ્રો સિટિનું વ્યસ્ત જીવન, સતત ચાલતું અને દોડધામ કરતું શરીર અને મન ને લાગતો માનસિક થાક જવબદાર છે. વધતી જતી હરિફાઈમાં વ્યક્તિ પર સતત ને સતત કામનું દબાણ રહેવાનું એ સ્વાભાવિક છે, પરંતુ તેના કારણે માદક દ્રવ્યોનાં સેવનનું આદિ થઇ જવું એ કોઈ સમસ્યાનો હલ ન કહી શકાય. ધુમ્રપાનની આદત છોડવા માટે વ્યક્તિએ સૌ પ્રથમ મક્કમ નિર્ધાર કરવો પડશે જેના માટે એકાગ્રતા તેમજ ચિત્તની શક્તિની આવશ્યકતા છે. આ શક્તિ પ્રાણાયામ અને યોગથી શક્ય બની શકશે. ધુમ્રપાન સહિત તમામ વ્યસનોનો ત્યાગ કરીએ.

  • મિત્તલ ખેતાણી (મો. 98242 21999)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *