માંસાહાર એટલે સર્વનાશાહાર || શાકાહાર, સ્વસ્થ જીવનનો આધાર.

માંસાહારનો ત્યાગ કરવું ખૂબ જરૂરી છે. પૃથ્વી પર વસતા કોઇપણ જીવને મરવું ગમતું નથી. પશુ-પક્ષીઓનાં મટન માટે એટલે કે નોનવેજ માટે તેમને, તેમના મૂક પણ અત્યંત પીડાદાયક વિરોધ વચ્ચે મારવા પડે છે. એટલે કે ”મીટ ઇઝ મર્ડર”, પૃથ્વીનાં તમામ શકિતશાળી અને બુધ્ધિશાળી પ્રાણીઓ (જેવા કે, હાથી, હીપોપોટેમસ, ગેંડો, ઘોડો, જીરાફ, ગાય વિગેરે) વેજીટેરીયન છે જેથી કહી શકાય કે માંસાહારથી પોષણ અને તાકાત મળે તે વાત સાવ ખોટી છે. સમગ્ર વિશ્વનાં લોકો અત્યારે ભારતીય સંસ્કૃતિની ગરીમા સ્વરૂપ કહી શકાય તેવી પરંપરા શાકાહાર અને યોગ તરફ વળી રહયાં છે, વેજીટેરીયન અને વિગન થઇ રહયાં છે ત્યારે કમનસીબે આપણા યુવાનો પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી પતનના માર્ગે જઇ કરોડો અબોલ જીવોની ક્રૂર હત્યામાં નિમિત્ત બની રહયાં છે, નોનવેજ ખાઇ રહયાં છે તે આપણી કમનસીબીની પરાકાષ્ટા છે. અત્યારનું વિજ્ઞાન પણ પુરવાર કરી ચૂક્યું છે કે માંસાહાર અનેક રોગોનું જનક છે. તેનાથી શરીરને પારાવાર નુકસાન થાય છે જયારે શાકાહારથી સંપૂર્ણ નીરોગી અને લાંબું આયુષ્ય પ્રાપ્ત થઇ શકે છે. ”જેવું અન્ન તેવું મન” નું સુત્ર સુચવે છે કે “જેવો આહાર તેવો વ્યવહાર”. માંસાહારનું પ્રમાણ જેટલું વધે એટલા પ્રમાણમાં ઇકો સીસ્ટમ ખોરવાઈ અને પરિણામ સ્વરૂપે અધોગતી, કુદરતી આફતો, ભૂકંપ–પુર–કોરોના જેવી બીમારીઓ કે વિનાશ સર્જાતાં હોવાની નકકર હકીકતો જાણવી અને જણાવવી તે દરેક જાગૃત માનવની જવાબદારી છે. પોતાની ખાતર નહિ તો છેવટે ભાવી પેઢીના કલ્યાણ ખાતર આ ફરજ બજાવવી અનિવાર્ય છે.
-મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯)