વૈદિક હોળી મહાત્મ્ય

GCCI અને કિશાન ગૌશાળા ના સંયુક્ત ઉપક્રમે ગોમય રંગ દ્વારા વૈદિક હોળી ઉજવવામાં આવી.
હિંદુ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવી છે. ગાયનાં છાણમાં લક્ષ્મીજીનો વાસ છે. આજે પણ ભારતનાં ઘણા ગ્રામીણ વિસ્તારમાં ગાયનાં સૂકાં છાણાનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવે છે. મોટા પ્રમાણમાં છાણ ભેગું કરીને “બાયોગેસ”નું ઉત્પાદન કરી વીજળી માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
તદુપરાંત ગાયનાં છાણથી ધૂળેટીમાં વપરાતા રંગો પણ બનાવી શકાય છે આ રંગો કેમિકલ મુક્ત હોય છે. સામાન્ય રીતે ધૂળેટીનાં તહેવારમાં જાતજાતના કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ થતો હોય છે આ પ્રકારના રંગો શરીર તથા ચામડીને તો નુકસાનકારક છે જ સાથે સાથે તેનાથી વાતાવરણ પણ પ્રદૂષિત થાય છે, વળી કેમિકલયુક્ત રંગોથી કુદરતી વસાહતો તેમજ પાણીનો પણ બગાડ થાય છે આવું રસાયણોયુક્ત પાણી જમીનમાં ભળવાથી જળસ્ત્રોતો પર પણ હાનિકારક અસરો પેદા થતી હોય છે. કેમિકલયુક્ત રંગોમાં જુદા જુદા હાનિકારક પદાર્થો હોય છે. લાલ રંગમાંનો મરકયુરી સલ્ફેટ ત્વચાનું કેન્સર, સિલ્વર કલરમાં એલ્યુમિનિયમ બ્રોમાઈડ કેન્સરજન્ય અને કાળા રંગમાં લેડ ઓકસાઈડ આંખોને નુકસાન પહોંચાડે છે.
આવા રંગોનાં બદલે જો ગાયનાં છાણથી બનેલા રંગોનો ઉપયોગ કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નીવડશે. ગાયનાં ગોબરથી બનેલા ગોમય રંગોને ઘરે પણ બનાવી શકાય છે આ માટે સૌ પ્રથમ ગાયનું સુકું ગોબર લઈ, બારીક ચાળણીથી ચાળી ત્યારબાદ તેમાં લીક્વીડ ફોર્મમાં ઉપલબ્ધ ફૂડ/ખાદ્ય કલર ઉમેરો અને ગોબરને બંને હાથેથી મસળી મિકસ કરો ત્યારબાદ તેમાં મનગમતાં સુગંધિત દ્રવ્યો જેમ કે ચંદન, સુખડ જેવા પદાર્થો ઉમેરી કલરને તૈયાર કરી શકાય છે. જો ફૂડ કલરનો ઉપયોગ ન કરવો હોય તો જુદા જુદા રંગો બનાવવા માટે જુદી જુદી વસ્તુઓ પણ વાપરી શકાય છે જેમકે, પીળો રંગ બનાવવા માટે ગાયના છાણમાં હળદર ઉમેરી શકાય, કેસરી રંગ માટે કેસુડાંનાં ફૂલો નો ઉપયોગ કરી શકાય જે શરીર માટે ફાયદાકારક છે, ગુલાબી રંગ માટે ગુલાબની પાંદડીઓ જેનાથી સૌમ્યતા અને સુગંધ પણ મળી શકે છે તેમજ લાલ રંગ માટે બીટને ક્રશ કરીને ઉમેરી શકાય. આ દરેક સામગ્રી પ્રકૃતિ તેમજ માનવ સ્વાસ્થ્યને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડતી નથી તેમજ નાના ભુલકાઓ અને પરિવાર સાથે ધૂળેટી રમવાનો અનેરો આનંદ માણી શકાય છે. આ રીતે પ્રકૃતિ સંરક્ષણ અને ગૌ મહાત્મ્ય પણ વધે છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ વલ્લભભાઈ કથીરિયા ના માર્ગદર્શન હેઠળ GCCI અને ચંદ્રેશભાઈ પટેલ કિશાન ગૌ શાળા દ્વારા વૈદિક હોળી અને ધૂળેટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વૈદિક હોળીને આધ્યાત્મિકતાના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે, સાથે સાથે જીવન અને પ્રકૃતિના નવીનીકરણના પ્રતિક રૂપે પણ હોળીના તહેવારોને મનાવવામાં આવે છે. અસત્ય પર સત્યના વિજયના ભાગરૂપે પણ વૈદિક હોળીની ઉજવણી થતી હોય છે. હોળીના દિવસે લોકોમાં એકતા આવે અને સંવાદિતાની સાથે સુમેળભર્યું વાતાવરણ બની રહે તે માટે પણ વૈદિક હોળીનુ મહત્વ પણ માનવામાં આવે છે. વૈદિક હોળીને વસંત ઋતુની શરૂઆતના દિવસો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસો દરમિયાન જીવન અને પ્રકૃતિના નવીનીકરણ પણ થતું હોય છે જેથી પણ વૈદિક હોળી સનાતન ધર્મ સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વના તહેવાર તરીકે ઉજવણી કરવામાં આવી.