પર્યાવરણમાં ‘એક્શન’ : એક્શન વેર કમ્પનીમાં 6 હજારથી વધુ વૃક્ષો અને 3 ત્રણ તળાવો બનાવામાં આવ્યા.
![](https://omonlynews.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-26-at-11.15.20-AM-991x564.jpeg)
ઉદ્યોગો એ માત્ર નફો કમાવવાનું સાધન નથી. ઉદ્યોગો દેશના વિકાસમાં ફાળો તો આપે જ છે પણ એ ધારે તો પર્યાવરણમાં પણ યોગદાન આપી શકે છે અને એનું જ્વલંત ઉદાહરણ છે રાજકોટ નજીક જાલીડા ગામે આવેલી એક્શન વેર કંપની. એક્શન વેર ફેક્ટરી કિચનવેર, હાઉસ વેર, ફર્નીચર ઉત્પાદનમાં શિરમોર છે. 800 થી વધુ પ્રોડક્ટ્સનું નિર્માણ કરે છે. પ્રોડક્ટ્સની 25 થી 30 દેશોમાં નિકાસ પણ થાય છે. અશોકભાઈએ 1989નાં વર્ષમાં ફક્ત 20 હજારની મૂડીથી કિચનવેરનો બિઝનેશ શરુ કર્યો હતો અને આજે કરોડોનું ટર્ન ઓવર છે. કંપની દ્વારા સૌપ્રથમ ઢોલરા ગામમાં અને પછી જાલીડા, વાંકાનેર ખાતે ફેક્ટરી કરવામાં આવી. ૪૦ એકરમાં પથરાયેલી આ ફેક્ટરી એના ઉત્પાદનો માટે જ નહિ પણ પર્યાવરણ સંરક્ષણ માટે પણ જોવા જેવી છે. આ કંપનીમાં 250 જેટલા કર્મચારીઓ કામ કરે છે. અને એમની માટે કંપનીની અંદર જ ટાઉનશીપ બનેલી છે. જ્યાં જમવાનું પણ અપાય છે.
![](https://omonlynews.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-27-at-12.22.29-PM-1024x576.jpeg)
એક્શન વેરનાં અશોકભાઈ મણવર કહે છે અમે પાંડુરંગ આઠવલેની વિચારધારામાં માનીએ છીએ અને એ કારણે પર્યાવરણને મહત્વ આપીએ છીએ. ઢોલરામાં આવેલી ફેક્ટરીમાં 800 થી 1000 અને જાલીડા ફેક્ટરીમાં 5000 થી વધુ વૃક્ષો વાવીને તેની જતન કરવામાં આવ્યું છે. ફેક્ટરીની આસપાસનાં વિસ્તારમાં પાણીની તંગી હોવાથી વૃક્ષોનું જતન કરવા તેમજ ફેકટરીમાં પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે ફેક્ટરી કેમ્પસની અંદર જ અનુક્રમે 4 હજાર, 6 હજાર અને 10 હજાર ફૂટનાં ત્રણ તળાવોનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. જેના કારણે આસપાસ ખેતી કરતા ખડૂતોની પાણીની સમસ્યા દૂર થઇ છે. ચોમાસામાં એક સારા વરસાદે જ અહીંના તળાવો ભરાઈ જાય છે.
અશોકભાઈ મણવરે ગૌશાળા પણ બનાવી છે જેમાં 24 જેટલી ગાયો રહે છે. અશોકભાઈ પોતાની ફેક્ટરીનાં કર્મચારીઓમાં રાષ્ટ્રીય ભાવના પ્રબળ બને એ માટે રાષ્ટ્રીય તહેવારોની વિશિષ્ટ રીતે ઉજવણી કરે છે. તેમના કંપની કલ્ચરમાં સવારે સૌ સાથે ઉઠીને કસરત, સૂર્ય નમસ્કાર અને પ્રાર્થના પણ કરે છે. કરુણા ફાઉન્ડેશનનાં કરુણા ટોક્સમાં આવી એમણે ઘણી બધી વાતો કરી હતી. એક્શન વેર કંપની બીજા ઉદ્યોગો માટે પ્રેરણા બની શકે છે. ફેક્ટરીમાં પ્રદુષણની સમસ્યા હોય છે, પણ વૃક્ષો વાવામાં આવે અને પાણીની સમસ્યા દૂર કરવા કોઈ પગલાં લેવાય તો એના લાભ એમને જ નહિ પણ આસપાસ રહેતા લોકોને પણ મળે છે.