શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઇન, રાજકોટ દ્વારા તા.01 ફેબ્રુઆરી રવિવારના રોજ કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું સન્માન

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઇન છેલ્લા 22 વર્ષથી નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર, એમ્બ્યુલન્સ સેવા, રેસ્ક્યુ કામગીરી અને જનજાગૃતિના ક્ષેત્રે અવિરત સેવા આપી રહી છે. આ સન્માન સમારોહ તારીખ 01 ફેબ્રુઆરી રવિવાર, 2026 ના રોજ સાંજે 6:30 વાગ્યે રાજકોટની ભાભા હોટેલ, ત્રિકોણબાગ પાસે યોજાશે. ભારત સરકાર દ્વારા જીવદયાના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત તથા નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રે ભારત દેશની સૌથી મોટી સંસ્થા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઇન, રાજકોટ દ્વારા સમાજહિત અને કરુણા અભિયાન, પર્યાવરણ સંરક્ષણ માટે નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવના સન્માનાર્થે એક “સન્માન સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ સન્માન સમારોહમાં કેબીનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા (વન અને પર્યાવરણ, વિજ્ઞાન અને પ્રૌધોગિકી તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગ સાથે સંકળાયેલા)ઉપસ્થિત રહશે. જેમાં પર્યાવરણ સંરક્ષણ, વન સંવર્ધન, ક્લાઈમેટ ચેન્જ અંગે જાગૃતિ અને સમાજહિતના અનેક કાર્યોમાં તેમના અમૂલ્ય યોગદાનને બિરદાવવાના હેતુથી જીવદયા ક્ષેત્રે કામ કરતી, પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી અને અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે સમાજના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, પર્યાવરણપ્રેમીઓ, જીવદયા સાથે સંકળાયેલા કાર્યકરો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા આમંત્રિત મહેમાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે. અત્રે ઉલેખનીય છે કે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન, રાજકોટના દવાખાનામાં અત્યાર સુધીમાં 13 લાખ જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ, વિનામૂલ્યે,નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા, 11 (અગિયાર) એમ્બ્યુલન્સ તેમજ ત્રણ બાઇક એમ્બયુલન્સ થકી ઓપરેશન સહિતની સારવાર થઈ છે, થતી રહે છે. દર માસે લગભગ 13000 જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની નિષ્ણાંત પશુચિકીત્સકોની ટીમ દ્વારા, સ્થળ પર જ, વિના મૂલ્યે તેઓ સાજા થાય ત્યાં સુધીની સઘન–સારવાર કરવામાં આવે છે. બીમાર અને અશકત, અકસ્માતથી ઘવાયેલ પશુ–પક્ષીઓને ગૌશાળા/પાંજરાપોળ/ સંસ્થાની જ નિઃશૂલ્ક વેટરનરી હોસ્પિટલમાં દાખલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે.
રસ ધરાવતાં સૌને ઉપસ્થિત રહેવા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇન દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, વિષ્ણુભાઈ ભરાડ, ધીરેન્દ્રભાઈ કાનાબાર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, ગૌરાંગભાઈ ઠક્કર અને ઘનશ્યામભાઈ ઠક્કર સહિતની ટીમ જેહમત ઉઠાવી રહી છે. શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા યોજાનાર “સન્માન સમારોહ”ની વિશેષ માહિતી માટે મિત્તલ ખેતાણી (98242 21999), પ્રતિક સંઘાણી (99980 30393), પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.


































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































