અમરેલી જિલ્લામાં જળસંચયનો શંખનાદ: ખડખડ, ચરખા અને ભાડેર ગામે જળસંચય અંગે વિશાળ બેઠકો મળી

ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા અને ગામડાઓને પાણી બાબતે આત્મનિર્ભર બનાવવા લોકજાગૃતિ અભિયાન તેજ
અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના ખડખડ ગામે તેમજ બાબરા તાલુકાના ચરખા, ધારી તાલુકાનું ભાડેર ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચય અને જળ વ્યવસ્થાપન અંગે ત્રણ અલગ-અલગ બેઠકોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકોમાં ગામના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ ત્રણેય બેઠકોમાં બોલતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, પાણી એ માત્ર કુદરતી સંસાધન નથી, પણ આપણી આવનારી પેઢીનું ભવિષ્ય છે. જો આપણે આજે વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનું આયોજન નહીં કરીએ તો ભવિષ્યમાં ખેતી અને પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાશે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો સંકલ્પ છે કે દરેક ખેતરનું પાણી ખેતરમાં અને ગામનું પાણી ગામમાં રહે. આપણે સૌએ સાથે મળીને ચેકડેમો અને બોર રિચાર્જિંગ જેવા પ્રકલ્પો દ્વારા ભૂગર્ભ જળના ભંડારો ભરવા પડશે. જળ સંચય એ જ સાચી દેશસેવા છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રના ગામડાઓમાં જળ સંચયના ભગીરથ કાર્યો કરી રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા લોકભાગીદારીથી ચેકડેમોના નિર્માણ, ચેકડેમ રીપેરીંગ, તળાવો ઊંડા ઉતારવા વગેરે સહિતના કાર્યો કરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે હજારો એકર જમીનમાં સિંચાઈની સુવિધા વધી છે અને ઉનાળામાં પણ કુવા-બોરના પાણીના સ્તર ટકી રહ્યા છે. ટ્રસ્ટના આ પ્રયાસોથી અનેક ગામો આજે પાણી માટે સ્વનિર્ભર બન્યા છે.
કુકાવાવના ખડખડ ગામે આયોજિત મીટિંગમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ હિરપરાએ અધ્યક્ષસ્થાન શોભાવ્યું હતું. આ પ્રસંગે સર્વશ્રી અરવિંદભાઈ ડોબરીયા, રમેશભાઈ ધાનાણી, પ્રફુલભાઈ સેંજલીયા, સંજુભાઈ હિરપરા, રમેશભાઈ જેતાલીયા, હિંમતભાઈ ભેસાણીયા અને બાવાભાઈ હિરપરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
બાબરાના ચરખા ગામે મળેલી બેઠકમાં સરપંચ શ્રી મગનભાઈ રૂપારેલીયા અને ઉપસરપંચ શ્રી મહેશભાઈ રૂપારેલીયાની આગેવાનીમાં જળસંચયનો એજન્ડા ચર્ચાયો હતો. આ બેઠકમાં સર્વશ્રી પ્રફુલભાઈ સેંજલીયા, અરવિંદભાઈ ડોબરીયા, રમેશભાઈ ધાનાણી, અરવિંદભાઈ રાદડિયા તેમજ કરિયાણા ગામના સ્વામીશ્રી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આસપાસના ગામોના સરપંચો જેવા કે રાયપરના પ્રકાશભાઈ તરૈયા, વાવડીના મગનભાઈ કોલડીયા, સમાઢીના મગનભાઈ પીઠડીયા, લુણકીના પરેશભાઈ કથેરીયા અને વાદળીયા ગામના સરપંચ લલિતભાઈએ હાજર રહીને જળ અભિયાનને સમર્થન જાહેર કર્યું હતું.
ધારીના ભાડેર ગામેં મળેલી બેઠકમાં સરપંચ શ્રી કાંતિભાઈ સાવલીયા, USA વાળા વિરજીભાઈ પાધડા, વનવાણી પાટોડિયા, લાલજીભાઈ ચોવટિયા વગેરે હાજર રહયા હતા.
અને ઉપસ્થિત ગીરગંગા પરિવાર ના USA કન્વીનર હરીશભાઈ ભલાણી, વિરાભાઈ હુંબલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, કૌશિકભાઈ સરધારા વગેરે લોકો પણ હાજર રહ્યા હતા.





























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































