પ.પૂ.ધીરગુરુદેવ મહારાજ સાહેબના ચાર્તુમાસ દરમ્યાન કાઠીયાવાડ જૈન સમાજ દ્વારાઅનેકવિધ સેવાકીય, મેડીકલ, જીવદયા, શૈક્ષણીક પ્રકલ્પોનું આયોજન

બોપલમાં પૂ.ધીરગુરુદેવના ચાતુર્માસ પ્રવેશોત્સવ સાથે કરોડોના ખર્ચે નવનિર્મિત બિન સાંપ્રદાયિક સંકુલનું ઉદધાટન ૨૨ જૂને યોજાશે
અમદાવાદમાં વર્ષોથી વસતા કાઠીયાવાડ જૈન સમાજના સંગઠન ગોંડલ સંપ્રદાયના શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પરમશ્રદ્ધેય પૂ. શ્રી ધીરગુરુદેવના અમદાવાદમાં ચાતુર્માસ પ્રવેશોત્સવ સાથે બોપલ ખાતે નિર્માણ પામેલા સમાજનાં અત્યાધુનિક બિન સાંપ્રદાયિક સંકુલનું ઉદધાટન તા.૨૨, જૂન ૨૦૨૫ને રવિવારે યોજાશે. ગુરૂમહારાજના અમદવાદ બોપલ ખાતેના ચાર્તુમાસ દરમ્યાન અનેકવિધ સેવાકીય, મેડીકલ, જીવદયા, શૈક્ષણીક પ્રકલ્પોનું આયોજન કાઠિયાવાડ જૈન સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. આ દરેક કાર્યક્રમ યુ-ટ્યુબમાં DHEER PRAVACHAN DHARA ચેનલમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
બોપલ – આમલી ક્રોસ રોડ ખાતે 970 વારના પ્લોટમાં નિર્માણ પામેલા 6 મંજિલામાં લાભુબેન હિંમતલાલ કપાસી – ધર્મ સંકુલ, ધોળકીયા હસુમતીબેન પોપટલાલ – આયંબિલ ભવન , કુમુદબેન ન્યાલચંદ વોરા – મેડિકલ સેન્ટર તેમજ 2 વિશાળ બેંકવેટ હોલ, 9 Ac રૂમ સહિત અતિથિ ભવન અને ગ્રાઉન્ડ ફ્લોરમાં તારામતીબેન જોઈસર વૈયાવચ્ચ કેન્દ્રનો સમાવેશ થાય છે. જે સદગત મંત્રી મહેશભાઈ અંબાવી વગેરેની દીર્ઘ દ્રષ્ટિને આભારી છે.
બોપલ ખાતે નિર્માણ પામેલા સમાજનાં અત્યાધુનિક બિન સાંપ્રદાયિક સંકુલમાં આવેલા મેડિકલ સેન્ટરમાં લગભગ તમામ પ્રકારની સેવાઓ જેમ કે, એકસ-રે મશીન, સોનોગ્રાફી, મેમોગ્રાફી, ડેન્ટલનો સમાવેશ થાય છે. આ મેડિકલ સેન્ટરનો લાભ દરેક જણ લઈ શકશે, જેમાં કોઈપણ નાત-જાતના ભેદભાવ વગર ખૂબ જ નજીવા દરે સારવાર કરવામાં આવશે.
કાઠીયાવાડ જૈન સમાજના મંત્રી મેહુલભાઈ ધોળકિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કમિટીના સુંદર સહયોગથી પ્રથમ વર્ષે ગોંડલ સંપ્રદાયના સુપ્રસિદ્ધ શય્યાદાન મહાદાનના પ્રેરક પૂ.શ્રી ધીરગુરુદેવનું ચાતુર્માસ પ્રાપ્ત થતાં અનેરો ધર્મોલ્લાસ છવાયો છે. જે ધર્મનાથ સ્થાનકવાસી જૈન સંઘનું સૌભાગ્ય છે. સમાજનું સમાજ ને અર્પણ કરવું તે જ સંતની સાચી સાધના છે. તેવું માનનારા ધીરગુરુદેવે 24 વર્ષની યુવાવયે પોતાના 80 વર્ષના પિતાશ્રી પ્રેમગુરુદેવ સાથે ઉપલેટામાં જૈન દીક્ષા અંગીકાર કરી હતી.
પૂ.શ્રી ધીરગુરુદેવની દીર્ઘદ્રષ્ટિના કારણે ભારતભરમાં કોલકત્તા, ચેન્નઈ, બેંગ્લોર, જલગાંવ. પુના, ભરૂચ, વડોદરા, રાજકોટ, નડિયાદ, કાંદીવલી, ઘાટકોપર, વિલેપારલા, કાટકોલા, પોરબંદર, ઇન્દોર, લાલપુર વગેરે ગામોમાં ઉપાશ્રય, વિહારધામ, ગર્લ્સ હોસ્ટેલ, ગુજરાતી ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ, પાંજરાપોળ-ગૌશાળા, બહેરા-મુંગા શાળા, બોર્ડિંગ, મહાવીરભવન વગેરે સંકુલના કરોડોના ખર્ચે નિર્માણ થયેલા છે.
કાઠીયાવાડ જૈન સમાજના અત્યાધુનિક બિન સાંપ્રદાયિક સંકુલના નિર્માણ સંયોજક અંશુલભાઈ ખેતાણીએ જણાવ્યું હતું કે પૂ.ધીરગુરુદેવ રાજકોટ થી વિહાર કરીને બોપલમાં વકીલ સાહેબ બ્રિજ સામે, ધર્મ સંકુલ ધર્મનાથ ઉપાશ્રયમાં પધાર્યા છે. તા. 21 ને શનિવારે સવારે 9:00 થી 12:00 કલાકે મહારાજા અગ્રસેન હોલ, શેલા ખાતે ઉર્વેશભાઈ વોરાની અધ્યક્ષતામાં દાતા અભિવાદન સમારોહ યોજાશે. તા. 22 જૂન ૨૦૨૫ને રવિવારે સવારે 9:00 કલાકે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વિનુભાઈ કપાસીના પ્રમુખ પદે ડીઝીટલ ઉદઘાટન વિધિ અને ચાતુર્માસ પ્રવેશોત્સવ પ્રસંગે ગોપાલના પૂ.દીપમુનિ મ.સા. ગોંડલના પૂ.ગુણીજી મ.સ, પૂ.જ્યોતિજી મ.સ. આદિ, બોટાદના પૂ. સવિતાજી મ.સ.,પૂ.સુશીલાજી મ.સ.,અજરામરના પૂ.ભક્તિજી મ.સ.આદિ, ગોપાલના પૂ. પૂર્ણિતાજી મ.સ. આદિ તેમજ દિલ્હી, કલકત્તા, મુંબઈ, જલગાંવ, ચેન્નાઈ, એમ્બેવેલી, ઇન્દોર, પૂના, જામનગર,ગોંડલ,રાજકોટ,સુરત,બરોડા,ભરૂચ,વાપી વગેરે તથા રાજનગરના જૈન શ્રેષ્ઠીઓ, સંઘો ઉપસ્થિત રહેશે.
અગોચરને ગોચર બનાવે એનું નામ સંત, શ્રેયને શ્વાસ બનાવે એનું નામ સંત, સમાધિને સહજ બનાવે તેનું નામ સંત, Sight…with Divine Shine ચાતુર્માસમાં પ્રવચનશ્રેણી કાઠિયાવાડ સ્થાનકવાસી જૈન સમાજ – ધર્મનાથ જૈન સંઘના ઉપક્રમે વકીલ સાહેબ બ્રીજ પાસે, શિવાલિક સત્યમેવ પાછળ, અમદાવાદ ખાતે યોજાશે.
સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવા કાંતિલાલ કપાસી, દિનેશ ખેતાણી, અરવિંદ મહેતા, મેહુલ ધોળકિયા, ભરત મહેતા નિલેશ ટીંબડીયા વગેરે પદાધિકારીઓ તથા કમિટી, પ્રેમ- પારસ મહિલા મંડળ, યુવક મંડળ વગેરે જહેમત ઉઠાવી રહેલ છે. દરેક કાર્યક્રમયુ-ટ્યુબમાં DHEER PRAVACHAN DHARA ચેનલમાં લાઈવ કરવામાં આવશે.
વિશેષ માહિતી માટે સંપર્ક કરો, મો. ૯૪૨૭૩ ૫૮૬૪૦, ૯૮૨૪૬ ૫૩૫૫૫.