અહિંસક દિવ્ય ભારતની ભવ્ય ભૂમિમાં છેલ્લા દશ વર્ષમાં મીટ એક્સપોર્ટમાં અભૂતપૂર્વ વૃદ્ધિ

ભારત દેશની સંસ્કૃતિ અને એનો અમુલ્ય અહિંસક વારસો આપણા દિવ્ય ભારતના ભવ્ય ઈતિહાસની ઝાંખી કરાવે છે. આપણે ત્યાં પહેલી રોટલી ગાયની, પછી ગરીબની, કુતરાની અને ચોથી રોટલી ઘરવાળા માટે થતી હતી. આજે કુતરો, ગરીબ કે ગાય શોધ્યા જડતા નથી અને પહેલી ચારે ચાર રોટલી ઘરવાળાને જ પીરસાય છે. આ દેશમાં કિડીને કણ અને હાથીને મણ તે ન્યાયે એક એક પશુપંખીનું અદભુત ધ્યાન રખાતું હતું. કુતરું શેરીમાં વિયાય તો મા દિકરાને તેલમાં બનાવેલો ઘઉંનો શીરો બનાવી આપતી અને બાળકો હોંશે હોંશે કાળુડી કુતુરીને આવ્યા ગલુડાં, ચાર ધોળીયા અને ચાર ભૂરીયા જીવે એવી કવિતાઓ પોતાના પાઠ્ય ક્રમમાં શીખતા પણ હવે તેના બદલે મારી પાસે 10 ઈંડા હતાં તેમાંથી મેં પાંચ ઈંડા ખાધા તો મારી પાસે કેટલા ઈંડા રહ્યા એવા પાઠો બાળપણમાં જ શીખવવામાં આવી રહ્યા છે. 10 માંથી પાંચ જાય તો પાંચ રહે એની પાછળ ષડયંત્ર ઈંડા ખાઈ શકાય છે. તે સંસ્કારો પીરસવાનો યુનેસ્કો ડેવલપિંગ કન્ટ્રીના અભ્યાસક્રમમાં કાવતરા રુપે પ્રયોજે છે. શેઢડકા ધારોષ્ણ દૂધ એ શબ્દો હવે ડિક્શનરીમાંથી પણ અલોપ થઈ રહ્યા છે. આંગળીમાં જેની અણી વાગે તેવી ગીરની ગાયનું ઘી હવે સ્વપ્નમાં પણ બિલગેટ્સ જેવા સંપત્તિવાનોને પણ દુર્લભ છે. તક્ર શક્રસ્ય હિ દુર્લભમ્ એટલે કે છાશ તો ઈન્દ્રોને પણ દુર્લભ છે તે પાઠોની ગંભીરતા અને દેવું કરીને પણ ઘી પીજો એવા ચારવાકના સિદ્ધાંતો બોલાયા બોલ મારા ફેલાયા આભમાં એ પ્રમાણે અવકાશમાં વિલીન થયા છે. વિકાસના વંટોળીયા જેમણે વાવ્યા છે તેમણે વિનાશના વાવાઝોડાની અનુભૂતિ સહન કરવા તૈયાર રહેવું પડશે. કેમ કે આ દેશમાં સ્વતંત્રતા વખતે 1,000 માણસ દીઠ 451 પશુઓ હતા. જે દરેક પશુ ગણતરી વખતે ગણતાં ગણતાં 157 સુધી નીચે આવી ગયું છે અને એનીમલ વેલફેર બોર્ડ તેને 1,000 માણસ દીઠ 11 સુધી સીમિત થઈ જશે તેવી ભીતિ સેવે છે. વઢવાણમાં પશુ રક્ષાનું બહુમૂલ્ય કાર્ય કરનાર અતુલભાઈ બાપુએ એક સરસ વાત જણાવેલી કે અમે ગામડામાં એક ખેડૂતના ત્યાં ગયેલા તો તેણે કહેલું કે અમારા દીકરાને તાવ આવે તો અમે દવા ન લેવા જઈએ પરંતુ એક ઘાસનો પૂળો ગાયને ખવડાવીયે એટલે ગાય તેને સુંઘીને તેને ફેલ્સિફેરમ મલેરિયા છે કે કોરોનાનો તાવ છે તેનો તાગ પામીને બીજા દિવસે જંગલમાં જાય ત્યારે તેવી ઔષધીઓ ખાઈને આવે કે મારા શેઠના દીકરાનો તાવ ઉતરી જવો જોઈએ અને ખરેખર પછીના દિવસનું દૂધ પીવડાવે અને એ તાવ મટી જાય કેમ કે તે ઔષધીઓ તે ક્યારેય પણ મોઢું ન નાંખતી હોય અને એ જ દિવસે એ ખાય તે કૌટુંબિક પશુઓનો માણસ સાથેનો સંબંધ કેવો ન્યારો હતો. રાષ્ટ્રીય સંપત્તિ સમાન પશુધનનો નાશ એટલે સર્વતોમુખી વિનાશ દેશમાં આજે મીટ સેક્ટર કુદકે ને ભૂસકે વધી રહ્યો છે. સરકારી આંકડાઓના જણાવ્યા મુજબ વર્ષ 2023-24 માં માસ નું ઉત્પાદન ભારત માં એક કરોડ ટન ના જાદુઈ આંકડા ને વટાવી ગયો છે. આ સેક્ટર 4.85 ના દરે વધી ને છેલ્લા દશ વર્ષમાં 66 લાખ ટન માંથી 100 લાખ ને વટાવી ગયો છે. એટલે કે છેલ્લા દશ વર્ષ માં 65% થી ઉપર મીટ પ્રોડક્શનમાં વૃદ્ધિ થઇ. ધ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશનના જણાવ્યા મુજબ મીટ ઉત્પાદનની વેલ્યુમાં વર્ષ 2011-12 માં 4.88 લાખ કરોડ રુપિયાથી વૃદ્ધિ પામીને 2023-24 માં 9.19 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે એટલે કે છેલ્લા 11 વરસમાં 100% વૃદ્ધિ થઇ ગઈ. છેલ્લા દશ વરસમાં ઈંડા નું વાર્ષિક ઉત્પાદન 78 અબજ નંગ થી વધીને 143 અબજ નંગ થઇ ગયું એટલે કે લગભગ બમણું ઉત્પાદન થયું. ઈંડા નું એક્સપોર્ટ તો છેલ્લા એક વર્ષ માં જ રૂપિયા 1081 કરોડ થી વધી રૂપિયા 1300 કરોડ જેટલું થઇ ગયું . નોંધનીય વાત એ છે કે વર્ષ 2022-23 ની સરખામણીએ વર્ષ 2023-24 માં માંસ ના એક્સપોર્ટ માં 17.2% વધારો થયો છે. આજ સમય દરમ્યાન જેમ એન્ડ જ્વેલરી ની નિકાસમાં લગભગ 15% જેટલો ઘટાડો થયો છે. ચોખા, ઘઉં, દળ વિગેરે અનાજ ના એકપૉર્ટમાં 1% થી પણ ઓછી વૃદ્ધિ આ જ ગાળા માં થઇ છે. દેશનું પશુધન કેટલી ઝડપથી ખતમ થઇ રહ્યું છે અને એ પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગ, જંગલો નો વિનાશ અને જળ સ્ત્રોતમાં ઝડપભેર ઘટાડો અને આ બધા ના ફળ સ્વરૂપ ક્લાઈમેટ ચેન્જ ને કારણે આવનારી વિવિધ કુદરતી આપત્તિઓએ માંસ એક્સપોર્ટ માંથી રળેલી આવક ક્યાંય ખાત્મો બોલાવી દેશે. આ દેશ નો પશુધન નો જે ઝડપભેર વિનાશ થઇ રહ્યો છે તે પ્રત્યેક નાગરિક માટે ગહેરી ચિંતા નો વિષય છે. આ આર્ય દેશમાં ચાલી રહેલી જીવોની કતલ ના આંકડા વાંચી ને સહેજે ચક્કર આવી જાય તેટલા મોટા છે. માત્ર એક જ વર્ષ, 2023 -2024 માં 1 કરોડ 40 લાખ ભેંસ ની કતલ આ દેશમાં અધિકૃત આંકડા અનુસાર થઇ છે, ઘેંટા અને બકરાની કુલ મળીને 21 કરોડ, અને 96 લાખ ડુક્કરોની કતલ આ જ વર્ષ દરમ્યાન કરવામાં આવી છે. ભેંસનું એક કિલો માંસ મેળવવા સાત કિલો અનાજ ખવડાવવાની અને લગભગ 12000 લીટર જેટલા પાણી ની જરૂર પડે છે, ઘેટાં બકરા નો એક કિલો માંસ મેળવવા 4 કિલો અનાજ ખવડાવવાની અને લગભગ 700 લીટર જેટલા પાણી ની જરૂર પડે છે, ઘેટાં બકરા ના એક કિલો માંસ મેળવવા માટે 450 લીટર પાણી ની અને એક ઈંડા ના ઉત્પાદન માટે 244 લીટર પાણી ની જરૂર પડે છે. આ રીતે માંસ, ઈંડા અને માછલી ના ઉત્પાદનની દોડ પાછળ આપણે ખુબ મોટા પાયે સમગ્ર જીવ શ્રુષ્ટિના જીવન માટે અતિ આવશ્યક કુદરતી સ્ત્રોતનો કચ્ચરઘાણ કાઢી રહ્યા છીએ. -અતુલકુમાર વ્રજલાલ શાહ