ઝારખંડના રાજ્યપાલ શ્રી સંતોષ ગંગવાર સાથે સૌજન્ય મુલાકાત દરમ્યાન ગૌસેવા, ગૌટેક – ૨૦૨૩ અને આવનારા ગૌટેક – ૨૦૨૫ તેમજ GCCIની પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરતા ડૉ. વલ્લભભાઈ કથીરિયા

તાજેતરમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ ઝારખંડ પ્રવાસ દરમ્યાન રાંચી ખાતે રાજભવન ખાતે ઝારખંડના માન.રાજ્યપાલ શ્રી સંતોષ ગંગવાર સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ગૌ આધારિત વિકાસ, વૈજ્ઞાનિક અભિગમથી ગૌસેવા, અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં ગૌ આધારિત અર્થતંત્રની ભૂમિકા વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ડૉ. કથીરિયાએ રાજ્યપાલ મહોદયને “ગૌટેક – ૨૦૨૩”ની સફળતા વિશે માહિતગાર કર્યા તેમજ આગામી “ગૌટેક – ૨૦૨૫”ના આયોજન અંગેની રૂપરેખા રજૂ કરી. તેમણે જણાવ્યું કે, ગૌ આધારિત નવીનતમ ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ્સ, વૈજ્ઞાનિક સંશોધન અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે “ગૌટેક- GAUTECH” એક વૈશ્વિક મંચ બની રહ્યું છે, જે દેશના કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્રને એક નવી દિશા આપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.
આ મુલાકાત દરમિયાન તેમણે ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ- બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા સમગ્ર દેશમાં કરવામાં આવતી ગૌસેવા અને ઉદ્યોગીક પ્રેરણા અંગે વિસ્તૃત માહિતી આપી. ડૉ. કથીરિયાએ જણાવ્યું કે GCCI દ્વારા ગૌમૂત્ર, ગોબર આધારિત ઉત્પાદન, પંચગવ્ય આયુર્વેદ, ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી, મહિલા અને યુવાનો માટે સ્વરોજગાર તાલીમ તથા માર્કેટિંગ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે, જેના કારણે હજારો ગૌશાળાઓ, ખેડુતો અને ઉદ્યોગકારો ને પ્રોત્સાહન મળ્યું છે.
રાજ્યપાલશ્રીએ ડૉ. કથીરિયાના ગૌસેવા ક્ષેત્રે કરવામાં આવેલા કાર્યની પ્રશંસા કરી તથા રાજ્યમાં ગૌ આધારિત ઉદ્યોગોને વધુ મજબૂતી આપવા માટે પૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.
આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન ડૉ. કથીરિયા સાથે પ.પૂ. સ્વામીશ્રી રણધીર જી, સાવમી પ.પૂ. સ્વામીશ્રી અનુભવાનંદજી, શ્રી એસ.કે. મિત્તલ, શ્રી ગૌરવ કુમાર ગુપ્તા, શ્રી સુનિલ માનસિંહકા, સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌ એ ઝારખંડને ગૌસેવા અને ગૌ આધારીત ટેકનોલોજી ક્ષેત્રે મોડલ રાજ્ય બનાવવા અંગે પોતાના અભિપ્રાયો અને પ્રસ્તાવો રાજ્યપાલ સમક્ષ રજૂ કર્યા હતા.