નવરાત્રીનાં ગરબાનો સદુપયોગ ચકલીનાં માળા તરીકે કરવા એનીમલ હેલ્પલાઈનની અપીલ

નવરાત્રી મહોત્સવમાં માં આદ્યશકિતની આરાધના માટીનાં ગરબા સ્વરૂપે થતી હોય છે અને એક શ્રધ્ધા કેન્દ્ર તરીકે આ માટીનાં ગરબાનું અનેરૂ મહત્વ છે. દરેક માતાજીનું વાહન પણ પશુ-પક્ષીઓ હોય છે. આ માતાજીનાં અતિ પવિત્ર ગરબા કે જેનો સદુપયોગ નવરાત્રી પછી પણ થાય તો માતાજીનાં આશીર્વાદ સૌને મળી શકે. એટલા માટે જ આ માતાજીનાં ગરબામાંથી ચકલીનો માળો બનાવી ખુદ ચકલી માતાજી(ઉડતાં ભગવાન)ને આપણા ઘરમાં જ તેમનુ ઘર આપીએ તો ખૂબ સારૂ પર્યાવરણ અને જીવદયાનું કાર્ય થઈ શકે. નવરાત્રીની નવ દિવસની આરાધના જેના પ્રકાશમાં કરીએ છીએ તે ગરબાને દસમે દિવસે મંદીરમાં મૂકવા જવાની પૌરાણીક શ્રદ્ધા છે. તેવા સમયે ગરબાની ગરીમા અને પવિત્રતા સાથે ચકલીનાં માળા માટે મૂકવામાં આવે તો ચકલી પણ સુરક્ષિત ઘર મેળવી શકે. ઘર એક મંદિર છે તો ગરબો મંદિરે મૂકવાને બદલે ચકલીનુ ઘર બનાવીએ. ગરબાની બાંધણી પક્ષીના માળા માટે ઉપયોગી છે. જૂના જમાનાનાં મકાન હવે નહિ રહેતા ચકલીને માળો બનાવવો મુશ્કેલ છે, તેવા સમયે ગરબાને છતમા ટિંગાડવામાં આવે તો તેનો ઉપયોગ ચકલી ઉછેર માટે આશીર્વાદરૂપ બનશે અને ગરબાની ગરીમાં પણ જળવાઈ રહેશે. ચકલી પોતાનો માળો જાતે બનાવી શકતી નથી અને દિન-પ્રતિદિન વધતા જતા પ્રદુષણયુકત વાતાવરણમાં આમતેમ વલખા મારી પોતાનો જીવ ગુમાવી બેસતી હોઈ છે, ત્યારે આવા અબોલ જીવની સુરક્ષા અને તેઓને સારો આવાસ આપવાનાં હેતું ગરબાનો સદુપયોગ તે ખૂબ મોટુ સત્કાર્ય થશે.
સમગ્ર વિશ્વ પણ ચકલી દિન ઉજવીને લુપ્ત થતી ચકલીઓને બચાવવા ઝુંબેશ ચલાવી રહેલ છે તેવા સમયે ગરબાને ચકલીનાં માળા માટે ઉપયોગમા લઈ ગરબાની પવિત્રતા સાથે પ્રકૃતિના જતનની હિમાયત એનીમલ હેલ્પલાઈનનાં મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરેન્દ્ર કાનાબાર, એડવોકેટ કમલેશભાઈ શાહ, ઘનશ્યામભાઈ ઠકકર, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, પારસભાઈ મહેતા , ગૌરગભાઈ ઠક્કર સહિતની ટીમે કરી છે.