અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટની યુવા ટીમ દ્વારા ચાલતી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ

અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટની યુવા ટીમ દ્વારા રાજકોટ શહેરમાં છેલ્લા 21 મહિનાથી થતી ગૌસેવા અને માનવસેવાની અનોખી લાગણીસભર સેવા, પૌષ્ટિક તત્વોથી ભરપૂર નૈવેદ્યનું દાન, પ્રેમ અને શ્રદ્ધાની અભિવ્યક્તિ સમાજમાં અનેક વખત આપણે માનવસેવા અંગે સાંભળીએ છીએ, પણ જ્યારે ગૌમાતા માટે નિઃસ્વાર્થ સેવા અને પ્રેમથી પૌષ્ટિક આહાર પહોંચાડવામાં આવે ત્યારે એ માત્ર કાર્ય નથી, પણ શ્રદ્ધા અને કરૂણાની જીવંત અભિવ્યક્તિ બની જાય છે. રાજકોટ શહેરમાં દર રવિવારે અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટની યુવા ટીમના કાર્યકરો દ્વારા વિવિધ ગૌશાળાઓ અને પાંજરાપોળમાં જઈને ગૌમાતાને પૌષ્ટિક અને રોચક આહાર પીરસવામાં આવે છે. ઉનાળાની કઠિન તાપમાનની ઋતુમાં ગૌમાતાને ઠંડક આપતી વસ્તુઓ જેવી કે તરબૂચના ટુકડા, કેરીનો રસ, મકાઈના ડોડા, , લીલાં ચણાં અને અન્ય સીઝનેબલ શાકભાજી તથા પૌષ્ટિક લાડવા પીરસવામાં આવે છે. આ સેવાયજ્ઞ માત્ર ખોરાક પૂરું પાડવાનો પ્રયાસ નથી, પરંતુ એ ભાવ છે કે ગૌમાતાની સેવા કરવી એ આપણી નૈતિક ફરજ છે. દાતાશ્રીઓના સહયોગથી આ કાર્ય વધતાં દર રવિવાર ગૌશાળાઓમાં આરતી, ભજન અને ગૌમાતાની વિશેષ પૂજા સાથે સેવા-નૈવેદ્ય અર્પણ થાય છે. સેવા માટે ખાસ બનાવાયેલ ઘઉંના લાડવામાં ખાંડના બદલે ગોળનો ઉપયોગ, ઘી, કોપરાનું ભૂક્કું, અને દૂધનો ઉપયોગ કરીને પૌષ્ટિક અને પાચનયોગ્ય લાડવાઓ તૈયાર કરવામાં આવે છે. સેવા માત્ર ગૌમાતા પૂરતી નથી અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટની યુવા ટીમના યુવાનો તહેવારો અને ખાસ દિવસોના અવસરે શહેરની ઝૂંપડપટ્ટીઓમાં વસતા ગરીબ બાળકો માટે પણ વિવિધ પ્રકારના પૌષ્ટિક નાસ્તાનું વિતરણ કરે છે અને તેમના જીવનમાં ખુશીની પળો ઉમેરવાનો પ્રયત્ન કરે છે. બાળમિત્રો માટે આ ક્ષણો માત્ર પેટ ભરવાની નથી, પણ પ્રેમ, સંવેદના અને પોતાના પણ કોઈ છે એ ભાવના જગાડે છે. આ કાર્યને નિઃસ્વાર્થ ભાવના અને જીવ માત્રમાં ભગવાનનું દર્શન કરવાની દૃષ્ટિએ આગળ વધારવામાં આવે છે. અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટની યુવા ટીમ દ્વારા સમાજને અપીલ કરવામાં આવે છે કે, જીવદયા-ગૌસેવાની સેવાયાત્રામાં સહભાગી થવા આગળ આવે, પોતાની ક્ષમતા મુજબ સમય, દાન કે સેવા દ્વારા જોડાય અને સમાજમાં પ્રેમ અને જીવદયાની સંસ્કૃતિને નવસર્જન આપે. ગૌમાતા, બાળમિત્રો અને અન્ય જીવમાત્ર માટે જ્યારે આપણે ભોજન કે પ્રેમ આપીએ છીએ ત્યારે એ આપણું શ્રેષ્ઠ માનવીપણું સાબિત થાય છે. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છનાં લાખો રઘુવંશીઓનાં શૈક્ષણીક, મેડીકલ, સુરક્ષા, સેવાકીય સહીતનાં ક્ષેત્રોમાં પ્રગતી માટે એક દશકાથી વધારે સમયથી જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેનાનાં અધ્યક્ષ ગિરીશભાઈ કોટેચા અને રાજકોટનાં પ્રમુખ મિતલ ખેતાણીના માર્ગદર્શનમાં અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના સેવારત છે. સમગ્ર આયોજનમાં અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટની યુવા ટીમના હિરેન વડેરા, કલ્પેશ પલાણ, સાગર તન્ના, નેવીલ ચોટાઈ, હેનીત ખખ્ખર, મિત્સુ ઠકરાર, ભાવીન દામાણી, પ્રણવ ખાલપડા, મોહીત અનડકટ, જય ગોટેચા, વિવેક સોમૈયા, લીનેશ રાજવીર, કેતન વડેરા, કુલદીપ બાટવીયા, દીપકભાઈ, મિલનભાઈ, વિહાન વડેરા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. વિશેષ માહિતી માટે અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના (રાજકોટ)ની યુવા ટીમના હિરેન વડેરા (મો.95744 55055) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.