જેમના અધિષ્ઠાયકો આજે પણ જાગૃત, જગ જયવંત અને જીવંત છે
સમતાદાયક પાર્શ્વનાથ પ્રભુની સાધનાથી સમાધિ મૃત્યુ મળે છે
પુરુષદાનીય, પ્રગટ પ્રભાવી, પાર્શ્વનાથ પ્રભુ માટે કહેવાય છે કે પ્રભુ તારા નામનો છે મોટો આધાર. નૂતન વર્ષમાં સંવત્સરી જેવું મહત્ત્વ ધરાવતાં જ્ઞાન પાંચમ અને કલ્યાણકોની પ્રધાનતા દર્શાવતું મૌન એકાદશી પર્વ હજુ તો પૂર્ણ થાય ત્યાં પોષ દશમી પર્વ આવીને વધામણાં કરે છે. તીર્થોમાં સામેથી જવું પડે, પર્વ સામેથી આવે છે. માગશર વદ નોમ, દશમ, અગિયારસ એ મારવાડીમાં પોષ મહિનામાં આવતા હોવાથી આ મહિનાને પોષ દશમી તરીકે પ્રખ્યાતી મળી છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુની જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણકની સમગ્ર ભારતભરમાં ત્રણ ઉપવાસ દ્વારા કે ખીરના, સાકરના પાણીના અને ભર્યા ભાણાના વગેરેના ત્રણ એકાસણાં કરવા દ્વારા સમાધિની સાધના ઉલ્લાસભેર થાય છે.
મુંબઈને સુરક્ષિત રાખનાર શ્રી ગોડિજી પાર્શ્વનાથ ભગવાનને કેન્દ્રમાં રાખીને આ વર્ષે શ્રી ગીતાંજલિ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, બોરીવલી દ્વારા દસ હજાર આઠ સામુહિક અઠ્ઠમનું આયોજન નિર્ધારાયું છે. ભારતભરના પાર્શ્વનાથ પ્રભુના તીર્થોમાં ઠેર ઠેર સામુહિક અઠ્ઠમ અને જન્મકલ્યાણક આદિની આરાધના તો થશે પરંતુ એકલા શંખેશ્વરમાં પાંચથી સાત હજાર અઠ્ઠમની આરાધનાઓ થતી હોય છે. સમાધિદાયક પાર્શ્વનાથ પ્રભુના અઠ્ઠમની આરાધનાથી આત્મામાં શાતા, શાંતિ અને સમાધિનો ત્રિવેણી સંગમ પ્રાપ્ત થાય છે.
આસન્ન એટલે નજીકના ઉપકારી શાસનપતિ શ્રી મહાવીર પ્રભુનો મહિમા અપરંપાર છે તેમ છતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના અધિષ્ઠાયકો આજે પણ જીવંત, જગ જયવંત છે. અને તેમનો મહિમા સાધકોને અનુભવ કરાવી રહ્યા છે. શ્રી વર્ધમાન તપની 100 ઓળીના પારણા સમયે જૈનાચાર્ય શ્રી વર્ધમાન સૂરિજી શંખેશ્વર તરફ પ્રયાણ કરી રહ્યા હતા અને રસ્તામાં જ કાળધર્મ પામે છે. અને એમ કહેવાય છે કે આજે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના મુખ્ય અધિષ્ઠાયક તરીકે પ્રસિદ્ધિને પામ્યા છે અને અવારનવાર પોતાનો પ્રભાવ બતાવી રહ્યા છે.
શંખેશ્વરથી દૂર લોલાડા ગામમાં એક વખત શંખેશ્વર તીર્થની ભક્તિ કરવા આ ગામના સંઘનો વારો આવ્યો હતો. લગભગ નેવું- સો વર્ષ પહેલાં શંખેશ્વરમાં હડતાળ ચાલી રહી હતી તે વખતે આ ગામના દરેક કુટુંબના એક-એક સભ્યને ગાડામાં શંખેશ્વર જવાનું હતું અને ત્યાંની જવાબદારી સંભાળવાની હતી. આ ગામના એક પરિવારને લગ્નમાં જવાનું હોવાથી તેમણે તેમની 13 વર્ષની દીકરીને સંઘ સાથે ગાડામાં જવાનું કહ્યું. અને આ દીકરી સવારે 3.00 – 3.30 વાગ્યે કૂવે પાણી ભરવા ગઈ અને પગ લપસ્યો અને તે કૂવામાં પડી. પણ તેણે ત્યારે શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને યાદ કર્યાં અને તત્કાળ ઘણાં કિલોમીટર લાંબે શંખેશ્વરના જિનાલયના ગભારાની સામે તે ભીના કપડે ઊભી હતી. શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનો આવો અપરંપરા મહિમા જોઈએ આ દીકરીએ નીતિસૂરિ સમુદાયમાં દીક્ષા લીધી છે અને આજે શ્રી 95 વર્ષની વયે શ્રી જિનેન્દ્રભક્તિશ્રીજી મહારાજના નામે સંયમ જીવન ઉત્તમ રીતે વહન કરી રહ્યા છે.
પારસનાથ પ્રભુના નામની અંદર 84 હજાર વિદ્યાઓ છે. આજે પણ બીજું કંઈ ન આવડે અને જે લોકો પાર્શ્વનાથ… પાર્શ્વનાથ.. એમ પ્રભુના નામનો માત્ર જાપ પણ કરે તો તેને અચૂક અવશ્યમેવ તેનો મહિમા અનુભવવા મળે છે. કેમ કે તેમના નામ માત્રથી લોકોના કામ થયા વગર રહેતા નથી.
પારસનાથ શબ્દની વ્યુત્પત્તિ કરતાં મહાપુરુષો જણાવે છે કે પા રસ નાથ એટલે કે હે નાથ તું જે સિદ્ધ શિલામાં આનંદનું વેદન કરે છે તે રસ અમને પણ પીવડાવ. બીજો અર્થ કરતાં કહ્યું કે પાર સ નાથ એટલે સંસ્કૃતમાં સ નો અર્થ તે થાય છે તો તે નાથ પાર ઉતારે તેવા છે અને આ જ પાંચ અક્ષરોમાંથી ત્રીજો અર્થ નિષ્પન્ન થયો છે કે પારસ નાથ એટલે કે પારસના પણ નાથ છે. લૌકિક પારસમણી લોખંડને સોનું બનાવે પરંતુ તેમાં પારસમણીના ગુણોનું આરોપણ ન કરી શકે જ્યારે આ પ્રભુ પારસના પણ નાથ એટલે લૌકોત્તર પારસ છે. એ આહવાન આપે છે કે તમે મારી ભક્તિ કરો હું તમને મારા જેવા જ બનાવી દઈશ.
શ્રી વીરવિજયજી મહારાજાએ ગાયું છે કે..
પંચમ આરે પ્રાણિયા, સમરે ઊઠી સવાર, વાંછિત પૂરે, દુઃખ હરે, વંદુ વાર હજાર.
અર્થાત્ આજે પણ જો સવારે શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું નામ માત્ર લેવામાં આવે તો તેની ઈચ્છાની પૂર્તિ જ નહીં પરંતુ ઈચ્છા નિવૃત્તિનું મહાદાન મળે છે અને ભવના દુઃખ પણ હરાઈ જાય છે અને શાશ્વત સુખના ભોકતા બનાવે છે.
યોગંવિંસતિકામાં જણાવ્યા પ્રમાણે પ્રભુવ્યક્તાશિવપદસ્થોડસો, શક્ત્યા ભવતિ સર્વત્રઃ અર્થાત્ પાર્શ્વનાથ પ્રભુ વ્યક્તિથી મોક્ષે ગયા છે પરંતુ શક્તિથી ચૌદ રાજ લોકમાં હાજરા હજુર છે. પાર્શ્વનાથ પ્રભુ હાલ મોક્ષમાં છે પરંતુ તેમના યશ નામકર્મના લીસોટાંઓ આજે પણ અલગ અલગ તીર્થોના માધ્યમે કોઈ વ્યક્તિની ભક્તિના પ્રભાવે કે ક્યાંક તેના અધિષ્ઠાયકોના ભક્તિના પ્રભાવે અલગ અલગ મહિમા જોવા – જાણવા અને માણવા મળે છે.
આચાર્ય ભગવંત શ્રી મુક્તિવલ્લભસૂરીશ્વરજી મહારાજ લિખિત 108 પાર્શ્વનાથ પ્રભુના ગ્રંથમાં 108 પાર્શ્વનાથ પ્રભુનો અપરંપરા મહિમા અસ્ખલિત રીતે વર્ણવામાં આવ્યો છે. સંયમ જીવનના પ્રારંભિક વર્ષોમાં તેમણે અનેક જ્ઞાન ભંડારોના ગ્રંથોનું પરિશીલન કરીને બે દળદાર ગ્રંથો 54 – 54 પાર્શ્વનાથ ભગવાનના મહિમાને ઉજાગર કરતાં દર્શાવ્યા છે. એક સમિતિ પણ નીમવામાં આવેલી જેના પાંચ-સાત સભ્યોએ આ 108 તીર્થોમાં જઈને તેના યંત્રો – મંત્રો – તંત્રો, છંદો, સ્તવનો સજાજાયો અને તેનો મહિમા એકત્રિત કરીને આ બે ગ્રંથોમાં અદભુત રીતે વર્ણવેલો છે.
108 તીર્થમાં દરેક પ્રભુનો મહિમા અલગ અલગ રીતે રજૂ કરાયો છે પણ શ્રી મંત્રાધિરાજ સ્તોત્ર દ્વારા શ્રી પાર્શ્વનાથ પ્રભુના ગુણવાચક 108 નામોનો રસથાળ પણ આમાં આલેખાયો છે. 1008 પાર્શ્વનાથ પ્રભુની નામાવલી પણ જોવા મળે છે. રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલા પોસીના પાર્શ્વનાથ ભગવાનનો મહિમા આ સમિતિના સભ્યોને ચમત્કાર સ્વરૂપે અનુભવવા મળેલ. તે વાતનું નિદર્શન અદભુત રીતે કરવામાં આવ્યું છે. 108 પાર્શ્વનાથ ભગવાનની અનેક ચમત્કારી વાતો બોક્સ મેટરમાં મૂકવામાં આવી છે.
આગલે ગામથી જ્યારે આ પોસીના તીર્થમાં જવાનું હતું ત્યારે ત્યાં ફોનથી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ તીર્થોમાં અવરજવર મર્યાદિત હોવાને કારણે અને ફોન પણ નહીં લાગવાને કારણે સમાચાર નહીં પહોંચાડી શકાયા. બીજે દિવસે સવારે છ કલાકે પ્રયાણ શરુ કર્યું. બે-અઢી કલાકનો રસ્તો હતો પરંતુ જંગલમાં ગાડી ખોટવાઈ જાય છે અને સાંજે સાડાચાર વાગ્યે રીપેરિંગ થાય છે. હજુ ઘણી મજલ કાપવાની બાકી છે અને સાંજના સમયે સૂર્યાસ્તની 10-15 મિનિટ પહેલાં પહોંચે છે ત્યારે આ સમિતિના પાંચ-સાત સભ્યોને એમ હતું કે હવે તો ભોજન પણ ઉપલબ્ધ નહીં થઈ શકે કારણ કે ધર્મશાળાની રૂમો બંધ છે અને પૂજારી અને મુનીમની દેરાસરની બહાર હાથ જોડીને ઊભા છે. પરંતુ સાનંદ આશ્ચર્ય સાથે તે પૂજારીએ જણાવ્યું કે આપ દર્શન કરો આપ સૌનું ભોજન તૈયાર છે. તેમણે કહ્યું કોઈ યાત્રિક નથી તો અમારા આટલા બધાની વ્યવસ્થા કેવી રીતે થશે તેમણે કહ્યું કે હમણાંની નહીં આપ સહુની સવારની પણ રસોઈ અમે બનાવી હતી કેમ કે અમારા પોસીના પાર્શ્વનાથ પ્રભુનો એવો મહિમા છે કે કોઈ પણ યાત્રિક આ તીર્થમાં આવવાના હોય તો અમારા જિન મંદિરના પાંચ શિખરમાંથી એક શિખરની ધજા વીંટળાઈને ફીટ થઈ જાય અને તેમણે ઉપર જોયું તો એક ધજા ફીટ થઈ ગઈ હતી અને દર્શન કરીને બહાર આવ્યા અને એ ધજા લહેરાવા લાગી. આજે પણ આ મહિમા અનેક યાત્રિકોને અનુભવવા મળે છે.-અતલુકુમાર વ્રજલાલ શાહ








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































