ગચ્છાધિપતિ યશોવર્મસૂરીજીના ‘ઋષભાયન’ના શુભારંભ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મંત્રી મંગલ પ્રભાત લોઢા, જૈન આચાર્ય લોકેશજી સહિત સર્વધર્મના સૈકડો સંતો ઉપસ્થિત રહ્યા

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ જૈન આચાર્ય લોકેશજી દ્વારા આયોજિત રામકથામાં પણ ઉપસ્થિત રહેશે
મુખ્યમંત્રીએ આચાર્ય નયપદ્મસાગરજી સાથે મળીને ‘ઋષભાયન’ પ્રદર્શનનું અવલોકન કર્યું
આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ‘ઋષભાયન’ ગ્રંથનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે, આ ગ્રંથ માત્ર ધાર્મિક દસ્તાવેજ નથી, પરંતુ આધુનિક સમાજ માટે પણ શાશ્વત જીવનમૂલ્યોનું માર્ગદર્શન આપે છે. તેમણે જૈન આચાર્ય લોકેશજી દ્વારા નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત થનારી પૂજ્ય મોરારી બાપૂની રામકથાનું આમંત્રણ સહર્ષ સ્વીકારતાં જણાવ્યું કે, નવ દિવસીય રામકથામાં તેઓ એક દિવસ અવશ્ય હાજર રહેશે. આચાર્ય લોકેશજી દ્વારા રામકથાનું આયોજન એક પ્રેરણાદાયક અને સંસ્કૃતિને જોડતું ઉદાહરણ હોવાનું તેમણે ઉમેર્યું.
ગચ્છાધિપતિ યશોવર્મસૂરીજી મહારાજે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે ભગવાન ઋષભદેવ માનવતાના જનક અને ભારતીય સંસ્કૃતિના અગ્રદૂત હતા. ‘ઋષભાયન’ ગ્રંથમાં ભગવાન ઋષભદેવના દર્શન, વિચારધારા અને મૂલ્યોને કલા, સાહિત્ય અને સંસ્કૃતિના માધ્યમથી અતિ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું.
આ અવસરે જૈન આચાર્ય લોકેશજીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રીરામ અને ભગવાન મહાવીર બન્નેનું જીવન અહિંસા, કરુણા, શાંતિ, સત્યનિષ્ઠા અને વચનબદ્ધતા પર આધારિત છે. આ મહાપુરુષોના સંદેશો આજે પણ જન-જન સુધી પહોંચતા તેઓ જોઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે પૂજ્ય મોરારી બાપૂની રામકથા દ્વારા 17થી 25 જાન્યુઆરી દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારતીય સંસ્કૃતિના સમન્વયનું અદભુત દૃશ્ય સર્જાશે.
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આચાર્ય નયપદ્મસાગરજી સાથે મળીને ઋષભાયન પ્રદર્શનનું અવલોકન પણ કર્યું. આ પ્રસંગે પૂજ્ય કોઠારી ધર્માનંદ સ્વામી મહારાજ, ડંડી સ્વામી જિતેન્દ્ર સરસ્વતી મહારાજ, મહંત દયાલપુરી મહારાજ, શાંતિગિરિ મહારાજ, ગુરુ માઉલી ડિંડોરી, જ્ઞાની રામસિંહજી રાઠોડ, સ્વામી ભારતાનંદ, મહામંડલેશ્વર રાજેન્દ્ર નામગિરીજી મહારાજ તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સર્વધર્મ એકતા અને શાંતિનો સંદેશ આપ્યો. કાર્યક્રમમાં વિધાનસભ્ય સંજય ઉપાધ્યાય, શ્રીમતી મનીષાતાઈ ચૌધરી, પૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટી સહિત અનેક ગણમાન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા લબ્ધિ વિક્રમ જનસેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી કિરીટભાઈ દોશી, પ્રવીણભાઈ જૈન અને શ્રીમતી કૃષ્ણા રાણાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. કાર્યક્રમ પૂર્વે ગાજે-બાજે સાથે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































