ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલયનાં નેશનલ એડવાઈઝરી કમિટીનાં સભ્ય યુવા સમાજ સેવક મિત્તલ ખેતાણીને સાંસ્કૃતિક મૂલ્યોનું રક્ષણ કરવા ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે ‘સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર’ અર્પણ કરાયો.

- રામમંદિરનું નિર્માણ, પ્રાચીન મૂર્તિઓને દેશમાં પરત લાવવી, નવી શિક્ષણ નીતિમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણને મહત્વ આપવા સહિતના નરેન્દ્રભાઇના કાર્યોથી આમૂલ પરિવર્તનો : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
- સામાજિક દૂષણ સામેની લડાઈ માત્ર સરકારની નહીં પરંતુ સમગ્ર સમાજની છે : ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી
શીલ-સંસ્કૃતિ અને સદાચારની રક્ષા માટે જેઓ સમર્પિત છે, તેમને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સેવ કલ્ચર – સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃતિની રક્ષા કરતા યુવાઓને ગુજરાત સાંસ્કૃતિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સાંસ્કૃતિક પ્રવૃતિઓનાં મંત્રી મુળુભાઈ બેરા અને સેવ કલ્ચર સેવ ઇન્ડિયા ફાઉન્ડેશનનાં ભીષ્મપિતામહ અને સંસ્કૃતિ પ્રેમી ઉદય માહુરકરજીનાં વરદ હસ્તે ભારત સરકારનાં પશુપાલન અને ડેરી વિભાગની નેશનલ એડવાઈઝરી કમિટીનાં સભ્ય યુવા સમાજ સેવક મિતલ ખેતાણીને ‘સાંસ્કૃતિક યોદ્ધા એવોર્ડ’ અર્પણ કરવામાં આવ્યો હતો.
’ઓટીટી અને સોશ્યિલ મીડિયાના પરથી પ્રસારિત થતાં કાર્યક્રમમાં નવી ગાઈડલાઇન આવવા છતાં પણ ગંદી ગાળો અને અશ્લીલતાઓ ભરેલી વિકૃત સામગ્રીનો કચરો ઠલવાઇ રહ્યો છે,જે ચિંતાનો વિષય છે. આવા કાર્યક્રમને જોવાથી વ્યક્તિનાં માનસ પર વિકૃત અસર થાય છે.
અત્રે ઉલેખનીય છે કે ભારત સરકારનાં પશુપાલન અને ડેરી વિભાગ, નેશનલ એડવાઈઝરી કમિટીમાં સભ્ય, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં એવોર્ડ એન્ડ ઈવેન્ટ કમિટીનાં સભ્ય, ગુજરાત સરકારનાં સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય, ભારતની પશુ સારવારનાં ક્ષેત્ર કોઈ એક શહેરમાં કાર્યરત હોય તેવી સૌથી મોટી સંસ્થા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇન,વેટરનરી હોસ્પિટલ, અબોલ જીવોનું અન્નક્ષેત્રનાં પ્રમુખ, તથા વૈશ્વીક સ્તરે જન, જંગલ, જમીન, જનાવર, જળની સુખાકારી માટે કાર્યરત વૈશ્વીક સંસ્થા સમસ્ત મહાજનનાં સંગઠન મંત્રી, ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (જી.સી.સી.આઈ)નાં માનદ સેક્રેટરી, સહિતની અનેક સંસ્થાઓમાં તન-મન-ધનથી સક્રિય એવા યુવા સમાજસેવી બાલ્યાવસ્થાથી જ લોહીનાં સંસ્કારને લઇને સેવાક્ષેત્રને વરેલા મિતલ ખેતાણીનું ભારત સરકાર, ગુજરાત સરકાર દ્વારા રકતદાન, ચક્ષુદાન, દેહદાન, અંગદાન, ગૌસેવા/ જીવદયા ક્ષેત્રે ઉલ્લેખનીય કામગીરી બદલ સન્માન થઇ ચૂકયું છે. પોઝીટીવ ન્યુઝ પ્રસારિત કરવાના ઉદેશ્યથી ”ઓમ ઓનલી ન્યુઝ” ની પણ શરૂઆત મિતલ ખેતાણીએ કરી છે. દિલ્હીનાં ગાંધી સ્મૃતિ મંદિર ખાતે ”જીવદયા રત્ન’ એવોર્ડ, ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા પણ જીવદયા ક્ષેત્રે એવોર્ડ પ્રાપ્ત થયો છે. મિત્તલ ખેતાણી જીવનસંગીની ડીમ્પલ, સુપુત્રો માનસ અને ધર્મ તેમજ પરીવારજનોની ઉપસ્થિતીમાં અને ગં. સ્વ. માતુશ્રી હરદેવીબેન નરોતમભાઇ ખેતાણીનાં આશીર્વાદ સાથે જીવનનાં આગામી વર્ષોમાં જીવદયા-ગૌ સેવા, માનવતા, દર્દી નારાયણ તેમજ દરીદ્દ નારાયણનાં લાભાર્થે મહત્વનું પ્રદાન કરવાનાં સ્વપ્નને સાર્થક કરવાનું ધ્યેય ધરાવે છે.
ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં રામમંદિરનું નિર્માણ, ૨૩૧ પ્રાચીન મૂર્તિઓને ભારત પરત લાવવી અને નવી શિક્ષણ નીતિમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણને મહત્વ આપવાની દરખાસ્ત સહિતના પ્રયત્નો થકી શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે આમૂલ પરિવર્તનો આવ્યા છે.” ત્યારે સંસ્કાર, સંસ્કૃતિ અને શીલના રક્ષણ માટે કાર્યરત યોદ્ધાઓના સન્માન માટે તેમણે યુવા અને સાંસ્કૃતિક વિકાસ વિભાગ તથા સેવ કલ્ચર ફાઉન્ડેશનને અભિનંદન પાઠવ્યા હતા. યુવાનોને સદમાર્ગે આગળ વધારવાના સરકારના પ્રયાસમાં સાંસ્કૃતિક યોદ્ધાઓનો સતત સહયોગ મળી રહ્યો છે. તેનો આનંદ વ્યક્ત કરી મુખ્યમંત્રીએ જણાવ્યું કે, શીલ, સંસ્કૃતિ અને સદાચારની રક્ષા કરનારને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સહુ નાગરિકોને પણ સાંસ્કૃતિક યોદ્ધા બનવાનું આહવાન કર્યું હતું.
ડ્રગ્સ વિરોધી અભિયાનનો ઉલ્લેખ કરી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યના હજારો યુવાનોને ડ્રગ્સના વ્યસનમાંથી મુક્ત કરાવવાનું કામ રાજ્યના પોલીસ વિભાગે કર્યું છે. કાયદાની સાથે કાઉન્સેલિંગ થકી અનેક પરિવારોને વિખેરાતા બચાવાયા છે. સામાજિક દૂષણ સામેની લડાઈ માત્ર સરકારની નહીં પરંતુ સમગ્ર સમાજની છે. વાલીઓને અપીલ કરતાં તેમણે જણાવ્યું કે, સંતાનોને ભૌતિક સુખ-સુવિધા અને મોંઘીદાટ વસ્તુઓ આપવાની સાથે સંસ્કાર આપી પોતાની ફરજ પ્રત્યે સભાન બનાવવા પણ જરૂરી છે. સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર દ્વારા અન્ય લોકોને પણ સંસ્કાર અને સંસ્કૃતિના સંવર્ધનની પ્રેરણા મળશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં કેન્દ્રીય માહિતી કમિશનર ઉદય માહુરકર, ધારાસભ્ય કૌશિકભાઈ જૈન, બાબુસિંહ જાદવ, અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભા જૈન, જાણીતા આધ્યાત્મિક ગુરુ પરમાત્માનંદજી, યુવા અને સાંસ્કૃતિક વિકાસ વિભાગના સચિવ અશ્વિની કુમાર, નાયબ સચિવ કે.એસ.વસાવા, ‘આઈના’ સંસ્થાનાં પ્રફુલભાઈ નાયક, મહેશભાઈ પૂજારા (મુંબઈ), પરેશભાઈ શાહ (સમસ્ત મહાજન, મુંબઈ), પ્રતિક સંઘાણી, લલિતભાઈ ધામી, કલ્પેશભાઈ શાહ સહિત આમંત્રીતો અને મોટી સંખ્યામાં સુજ્ઞ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન એડવોકેટ અભય શાહે કર્યું હતું.
- મિત્તલ ખેતાણી (મો. 98242 21999)













































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































