શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર 100% નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો દાયકાનો સફર

સારવાર, ઓપરેશન તો નિ:શુલ્ક જ ઉપરાંતમાં દર્દી તેમજ તેમના સગાઓ માટે સારું ભોજન હોસ્પિટલમાંથી જ અપાઈ રહ્યું છે
શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલામાં સ્થિત 100% નિઃશુલ્ક મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. આ હોસ્પિટલની સ્થાપના પ્રખ્યાત શિક્ષક અને ગુરુ શ્રી રતિલાલ બોરિસાગરને શ્રદ્ધાંજલિરૂપે કરવામાં આવી હતી, જેમના પૂર્વ વિદ્યાર્થી, જે આજે ડોક્ટર, વેપારી, શિક્ષક અને સમાજના પ્રખ્યાત વ્યક્તિઓ છે, તેમની પ્રેરણાથી આ કાર્ય શક્ય બન્યું છે. સ્વાસ્થ્ય સેવાની ગુણવત્તા તો સારી હોવી જરૂરી છે જ સાથે જ મધ્યમ કે ગરીબવર્ગને તે પરવડે તેવું પણ હોવું જોઈએ. આધુનિક ઉપકરણો, પદ્ધતિ તો હવે બધે ઉપલબ્ધ છે, પરંતુ સામાન્ય વર્ગના લોકોને નિઃશુલ્ક બધી સ્વાસ્થ્ય સેવા મળે તો તેમને સારવાર અને નવજીવન મળી શકે. ગુજરાતમાં આરોગ્યસેવા ક્ષેત્રે જે જે સંસ્થાઓ કામ કરી રહી છે તેમાં સાવરકુંડલાનું શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્યમંદિર અગ્ર છે. આ 100 ટકા નિઃશુલ્ક હોસ્પિટલ છે. સૌરાષ્ટ્રના નાના નગરમાં આ બહુ મોટું કામ થઈ રહ્યું છે. શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્યમંદિર હોસ્પિટલ નથી, પરંતુ એક યજ્ઞશાળા છે. અનેક લોકોની આહૂતિથી અહીં સેવાની ધુમ્રસેર ઊડી રહી છે. ‘દર્દી દેવો ભવ:’ની કહેવત અનુસાર અહીં આવેલા દરેક દર્દીઓને ભગવાનનાં રૂપે જોવામાં આવે છે. સારવાર, ઓપરેશન તો નિ:શુલ્ક છે જ આ ઉપરાંત દર્દી તેમજ તેમના સગાઓ માટે સારું ભોજન પણ હોસ્પિટલમાંથી આપવામાં આવે છે. મોરારિબાપુના અનુરાગ, અનુગ્રહ અને પ્રખ્યાત કેળવણીકાર રતિલાલ બોરીસાગરના માર્ગદર્શન હેઠળ સત્ય, પ્રેમ અને કરુણાના મૂળમંત્રને આત્મસાત કરવાનાં હેતુ સાથે ગુજરાતના સાવરકુંડલા ખાતે આવેલી શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર 100% નિઃશુલ્ક હોસ્પિટલની સ્થાપના તારીખ 07 જાન્યુઆરી, 2015નાં રોજ કરવામાં આવી હતી. શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ હોસ્પિટલમાં દર્દી પાસેથી એકપણ રૂપિયો લીધા વિના સમાજના આર્થિક રૂપે નબળા અને જરૂરિયાતમંદ લોકોને છેલ્લા એક દાયકાથી નિ:સ્વાર્થ ભાવે સસ્મિત તબીબી સેવા પૂરી પાડવામાં આવી રહી છે. આ હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે પછાત લોકો, ખાસ કરીને નાના ગામોમાં રહેતા લોકો, જેમને ઊંચા ખર્ચને કારણે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ નથી, તેમને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાનો છે. શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્યમંદિરનાં ટ્રસ્ટી હરેશભાઈ મહેતા જણાવે છે કે, “છેલ્લા 10 વર્ષમાં આજ દિન સુધી અંદાજે 20 લાખથી વધુ દર્દીઓને હોસ્પિટલ થકી નિઃશુલ્ક તબીબી સારવારનો લાભ મળ્યો છે. દરરોજ લગભગ 1500 દર્દીઓ હોસ્પિટલ દ્વારા પૂરી પાડવામાં આવતી નિ:શુલ્ક સેવાનો લાભ લે છે. જેમાંથી મોટાભાગના લોકો આર્થિક રૂપે નબળા અને ગરીબ વર્ગમાંથી આવે છે.” હોસ્પિટલની વિશેષતાઓમાં જનરલ મેડિસિન, સર્જિકલ વિભાગ, બાળરોગ વિભાગ, ઑન્કોલોજી વિભાગ, ડાયાલિસિસ સેન્ટર, ઓર્થોપેડિક વિભાગ, આંખના રોગોનો વિભાગ, કાન-નાક-ગળા વિભાગ, જનરલ ઓપીડી, રેડિયોલોજી, ફિઝિયોથેરાપી વિભાગ, ડેન્ટલ વિભાગ, ભોજનાલય, ઇમર્જન્સી વોર્ડ, એમ્બ્યુલન્સ સેવા, પેથોલોજી લેબ, હોમિયોપેથી, આયુર્વેદ, નેચરોપેથી, ફાર્મસી, મોબાઇલ ડિસ્પેન્સરી, પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગ, અને ટેલિ કન્સલ્ટિંગ વિભાગનો સમાવેશ થાય છે. હોસ્પિટલમાં નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, યુરોલોજી, ન્યુરો એન્ડ સ્પાઈન સર્જરી, ઈ.એન.ટી, પેડીયાટ્રીક ફીઝીયોથેરાપી, સાઈકેટ્રીસ્ટ, સાયકોલોજિસ્ટ સ્પેશિયલ વિઝીટમાં આવે છે. હવે કાર્ડિયોલોજી અને ન્યુરોલોજી ડીપાર્ટમેન્ટ પણ શરુ કરવામાં આવશે. આ સાથે હોસ્પિટલમાં સફાઈ પણ સારી રાખવામાં આવે છે. હોસ્પીટલમાં ડૉ. રત્નાકર વાણીયા, ડૉ. પ્રકાશ પટેલ, ડૉ. હેત્વી કાલઠીયા, ડૉ. વંદિતા સલાટ, ડૉ. હેમલ ચોટલીયા, ડૉ. નિકુંજ ગોંડલિયા, ડૉ. રાજેશ મહેતા, ડૉ. ધાર્મી રાઠોડ, ડૉ. મૌસમ બનજારા, ડૉ. દેવ્યાની વાળા, ડૉ. પરિંદા ગોહિલ, ડૉ. પૂજા સોલંકી, ડૉ. વિવેક ગેન્ગાડીયા, ડૉ. મમતા દત્તાણી, ડૉ. રચિત અજાગિયા, ડૉ. કોમલ કટારીયા, ડૉ. અરુણ મિસ્ત્રી, ડૉ. વિનુભાઈ પટેલ, ડૉ. નરેન ભાલિયા, ડૉ. નિકીતા વાનિયા, ડૉ. રોહિત સોન્ડીગાળા, ડૉ. ઉમેશ હાડીયા, ડૉ. ભારતી પટેલ, ડૉ. ચિરાગ પીપરોત્તર, ડૉ. સંગીત સલખાના, ડૉ દક્ષા આહિલ, ડૉ. દર્શના સિયલ, ડૉ. સુમેર સાવત, ડૉ. સોનિયા ચેતવાણી,ડૉ. નિધિ સોન્દ્રવ, ડૉ. ભાવિકા બંભાણીયા, ડૉ. રીન્કલ વાળા પોતાની સેવા આપી રહ્યા છે. પોતાના સમય પૂર્ણ થયા ઉપરાંત પણ તેઓ દર્દીઓની સેવા કરવા માટે ઉપસ્થિત રહે છે. હોસ્પિટલના મુખ્ય લક્ષ્યોમાં દર્દી કેન્દ્રિત સારવાર દ્વારા સારા પરિણામો લાવી દર્દીનાં જીવનની ગુણવત્તામાં સુધારો લાવવો, સ્ટાફ અને દર્દીઓમાં વૈવિધ્યતાનો સંસ્કાર વિકસાવવો અને હોસ્પિટલની સેવાઓ તમામ પ્રકારનાં સમુદાયો સુધી વિસ્તૃત કરવી વગેરેનો સમાવેશ થાય છે. હોસ્પિટલની સ્થાપના પછીના દાયકામાં, 20 લાખથી વધુ દર્દીઓએ અહીંથી નિઃશુલ્ક સારવાર મેળવી છે. કેસ લખવાથી લઈને ડોકટરી તપાસ, ઓપરેશન, દવાઓ અને ઇન્ડોર દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને નિઃશુલ્ક ભોજન જેવી સેવાઓ અહીં ઉપલબ્ધ છે. હોસ્પિટલની કામગીરી માટે દર મહિને આશરે 70 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, જે મુંબઈ અને વિદેશમાં સ્થાયી થયેલા સાવરકુંડલા પ્રેમીઓના દાનથી સંભવ બને છે. આ હોસ્પિટલમાં 25 જેટલા ડોકટરો અને 70 જેટલા સ્ટાફના સભ્યો અવિરત સેવા આપી રહ્યા છે. શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર, સાવરકુંડલા વિષે પૂ. મોરારિબાપુએ શ્રીમદ ભગવદ્ ગીતાનો સંદર્ભ આપીને જણાવ્યું કે યજ્ઞ, દાન, તપ કોઈ પણ પરિસ્થિતિમાં વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ માટે થઇ રહ્યું હોય તેને છોડવું ન જોઈએ. આ આરોગ્ય મંદિરમાં તપસ્યા થઇ રહી છે. આ તપસ્યાનો અર્થ છે કે આટલા નિષ્ણાંત ડોકટર, જે દરેક રોગનું નિદાન લાવવામાં સક્ષમ છે એવા ડોક્ટર એક નાના ગામમાં આવીને પોતાની સેવા આપી રહ્યા છે. એ તપ છે. અહીં અમુલ્ય સેવા થઇ રહી છે. સાવરકુંડલામાં સ્થિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની આરોગ્ય સેવાઓને આર્થિક મદદ માટે વિવિધ પ્રકારની દાન યોજનાઓ રજૂ કરવામાં આવી છે.
- તિથિ દાન : ખાસ દિવસ (જેમ કે સંતાનના જન્મદિવસ, માતા-પિતાના જન્મદિવસ, લગ્નવાર્ષિકી, કે મૃત્યુવાર્ષિકી) માટે શ્રદ્ધાંજલિ સ્વરૂપે રૂ. 1,51,000નું દાન આપી શકાય છે. આ તિથિ હોસ્પિટલમાં 20 વર્ષ સુધી દર વર્ષે ઉજવવામાં આવશે.
- બેડ માટે અનુદાન : હોસ્પિટલમાં 108 બેડ છે. એક બેડ માટે રૂ. 2,51,000નું દાન આપીને તમે તે બેડને પ્રાયોજિત કરી શકો છો. દાતાની પસંદગી અનુસારનું નામ બેડની પાસેના પ્લાક પર મૂકવામાં આવશે.
- દૈનિક દવાઓનો ખર્ચ : એક દિવસના દવાઓના ખર્ચ માટે રૂ. 50,000નું દાન આપીને તમામ દર્દીઓને દવાઓ પ્રદાન કરવામાં મદદ કરી શકાય છે.
- દૈનિક ભોજન ખર્ચ : એક દિવસના ભોજન માટે રૂ. 25,000નું દાન આપીને હોસ્પિટલમાં દર્દી અને તેમની સાથેના સંબંધીઓને ભોજન પ્રદાન કરી શકાય છે.
- ડાયાલિસિસ ખર્ચ : ત્રણ દર્દીઓ માટે એક દિવસની ડાયાલિસિસ સારવાર માટે રૂ. 11,000નું દાન આપી શકાય છે.
- સીએસઆર (CSR) : કોઈપણ સંસ્થા માસિક અથવા મૂડીદાન સ્વરૂપે સીએસઆર ફંડ દ્વારા દાન કરી શકે છે. હૉસ્પિટલના દર મહિનાનો ખર્ચ રૂ. 75 લાખથી વધુ હોય છે, જેથી નવી મશીનો, ઉપકરણો ખરીદવા અથવા નવા વિભાગો શરૂ કરવામાં આ દાન મદદરૂપ થશે.
- કોઈપણ રકમ : તમારું મનગમતું કોઈપણ દાન આપી શકો છો, જે હૉસ્પિટલના દૈનિક ખર્ચમાં ઉપયોગી થશે. તમામ દાન 80G હેઠળ કર છૂટ માટે પાત્ર છે અને સાથે સત્તાવાર રસીદ અને પ્રમાણપત્ર જારી કરવામાં આવે છે. સરનામું : ખાદી કાર્યાલય સોસાયટી, આરોગ્ય મંદિર, શ્રી લલ્લુભાઈ શેઠ, કેમ્પસ, રેલ્વે સ્ટેશન રોડ, સાવર કુંડલા, ગુજરાત. પીનકોડ : 364515, મો. 8141175281, https://g.co/kgs/iNuoMbF પ્રેસ કોન્સફરન્સ : સાવરકુંડલા સ્થિત શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર દ્વારા નિ:શુલ્ક આરોગ્ય સેવાઓ વર્ષોથી આપવામાં આવે છે. આ નિ:શુલ્ક હોસ્પિટલનો લાભ રાજકોટ તથા તેની આસપાસના વિસ્તારોના દર્દીનારાયણ,દરિદ્રનારાયણને પણ મળે એવા ઉમદા આશય થી પત્રકાર મિત્રોને માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.પત્રકાર પરિષદમાં સંસ્થાના ટ્રસ્ટીઓ દિવ્યકાંતભાઈ સૂચક,અમિતભાઈ મગીયા (મો.9322229675) સહિતનાઓએ હોસ્પિટલની વિસ્તૃત માહિતી પત્રકાર મિત્રોને આપી હતી.પત્રકાર પરિષદનું સંચાલન મિતલ ખેતાણી એ કર્યું હતું.